બોલિવૂડ એક્ટર અજય દેવગનના પિતા વીરૂ દેવગનનું 27 મેના રોજ નિધન થયું હતું. હવે ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીએ શુક્રવાર (31 મે)ના રોજ એક્શન કોરિયોગ્રાફર વીરૂ દેવગનને સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોતાના ગુરુ કહ્યાં હતાં.
રોહિત શેટ્ટીએ પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યુ કે, ''પોતાના બાળકોને હિરો બનાવવામાં એક સારા પિતાની ભૂમિકા મહત્વની છે. 16 વર્ષની ઉંમરમાં સ્ટંટ કરવાનું શરૂ કર્યુ હતુ અને આજે 45ની ઉંમરમાં ઘણી સારી રીતે કરી રહ્યો છું. મને ખ્યાલ છે કે સ્વર્ગમાં રહેલી એક વ્યકિતને ચોક્કસથી મારા પર ગર્વ થશે. તે મારા ગુરુ, મારા પિતા-વીરૂ દેવગન.''
રોહિતે આગળ લખ્યુ કે, ''વીરૂ દેવગને હંમેશા પોતાના કામ પ્રત્યે ઈમાનદાર રહેવાનું શીખવ્યું છે. કામ પ્રત્યે વફાદાર રહેવાથી કામ તમારા પ્રત્યે વફાદાર રહેશે. સાથે જ કોઈ પણ સ્ટંટ કરતા પહેલાં પોતાની સુરક્ષાના યોગ્ય ઉપાયો કરવા તે વાત પણ તેમનામાંથી શીખ્યો છું. ''
આ પોસ્ટ સાથે રોહિતે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે બેંગકોકમાં બાઈક સ્ટંટ કરતો જોવા મળે છે. હાલમાં રોહિત શેટ્ટી-અક્ષય કુમાર બેંગકોકમાં ફિલ્મ 'સૂર્યવંશી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. રોહિતે વધુમાં કહ્યું હતું, 'અક્ષયની સાથે રિયલ સીન્સ શૂટ કરતાં પહેલાં સ્ટંટની પ્રેક્ટિસ. કારમાં હાજર રહેલા તમામ ડ્રાઈવર્સ સ્ટંટ પ્રોફશનલ્સ છે અને એક નિયંત્રિત પરિસ્થિતિમાં આનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.'
'હિંમતવાલા', 'મિસ્ટર ઈન્ડિયા', 'ખતરો કે ખિલાડી', 'ફૂલ ઔર કાંટે', 'દિલાવાલે', 'લાલ બાદશાહ' જેવી ફિલ્મ્સ માટે એક્શન સીન્સ વીરૂ દેવગને કોરિયોગ્રાફ કર્યાં હતાં. વીરૂ દેવગને પોતાની કરિયરમાં 80થી વધુ ફિલ્મ્સમાં સ્ટંટ તથા એક્શન કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું હતું.