આ રેસ્ટોરન્ટની ખાસિયત એ છે કે તે તારક મહેતા સિરિયલની ‘ગોકુલધામ સોસાયટી’ની જ રેપ્લિકા છે. તેના જેવી બિલ્ડિંગ, ગેઇટ, બાલ્કનીઓ, કલર સ્કિમ બધું જ સીરિયલ જેવું જ છે. આ સિવાય સીરિયલમાં જ્યાં અલગ અલગ પાત્રોનાં ઘર છે, ત્યાંની બાલ્કનીમાં તેમણે પાત્રોનાં લાઇફ સાઇઝ કટઆઉટ પણ મૂક્યાં છે. આ સમાચાર માધ્યમોમાં પ્રસારિત થયા હતા. આ અંગે સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, સિરિયલની નિર્માતા કંપની નિલા ટેલિફિલ્મસ પ્રોડક્શન હાઉસ હવે આ હોટલના માલિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે. હોટેલના માલિકે પ્રોડક્શન હાઉસની પરમિશન વગર કમાણીના ઉદ્દેશ્યથી પેટન્ટનો, પાત્રોના કટઆઉટનો ઉપયોગ કર્યો છે.
રેસ્ટોરન્ટ તરફ બધાનું ધ્યાન ખેંચાય છે
થોડા સમય પહેલાં જ ચાલુ થયેલી આ રેસ્ટોરન્ટ અમરાવતીથી 25 કિલોમીટર દૂર મોરશી રોડ પર આવેલી છે. હાઇવે પર જ હોવાને કારણે આ રેસ્ટોરન્ટ ત્યાંથી પસાર થનારા બધાનું ધ્યાન તરત જ ખેંચે છે. ગોકુલધામ લખેલા ગેઇટ પર જેઠાલાલ અને દયાબેનનાં કટઆઉટ લોકોનું સ્વાગત કરે છે. પછી સીરીયલ જેવું જ મોટું ચોગાન અને ચોતરફ ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓની અલગ અલગ વિંગ બનાવવામાં આવી છે. આ પ્રકારની પેટન્ટ, સેટ ડિઝાઈનનો મંજૂરી વગર ઉપયોગ કરવા બદલ હવે ‘ગોકુલધામ પેલેસ’ નામની એર રેસ્ટોરન્ટના માલિક ફરતે કાયદાકીય ગાળિયો કસાશે. પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના વકીલ દ્વારા ટૂંક સમયમાં નોટિસ ફટકારવામાં આવશે.
રેસ્ટોરન્ટમાં દરેક પ્રકારની મળે છે વેરાયટી
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા સીરીયલમાં જેમ અલગ અલગ રાજ્યોના લોકો રહે છે. એ જ રીતે આ રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન જેવાં અલગ અલગ ક્વિઝિનની વેરાયટીઓ મળે છે. થોડા દિવસ પહેલાં જ અહેવાલ આવ્યા હતા કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ એમેઝોન ફાયર ટીવી ડિવાઇસમાં સૌથી વધુ સર્ચ થયેલો ટીવી શૉ બન્યો હતો.