અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે.
અફઘાનિસ્તાનનાં કંદહાર એરપોર્ટ ઉપર હુમલો
એરપોર્ટ ઉપર રોકેટ છોડવામાં આવ્યા
હુમલો કોણે કર્યો તે હજુ સ્પષ્ટ નહીં
એરપોર્ટના અધિકારીઓએ આ માહિતી આપી છે. તાલિબાન લડવૈયાઓએ કંદહારને ઘેરી લીધું છે અને અફઘાન સુરક્ષા દળો સાથે હાલમાં શહેરમાં લડાઈ ચાલી રહી છે. રવિવારે એએફપી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે દક્ષિણ અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ત્રણ રોકેટ ત્રાટક્યા હતા.
અફઘાનિસ્તાનમાં અરાજકતા યથાવત
તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટા ભાગ પર કબજો મેળવવા માટે પોતાનું અભિયાન તેજ કર્યું છે. દેશના મોટા ભાગમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન લડવૈયાઓ વચ્ચે યુદ્ધ ચાલુ છે. કંદહાર એરપોર્ટના વડા મસૂદ પશ્તુને એએફપીને જણાવ્યું હતું કે, ગત રાત્રે એરપોર્ટ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી બે રનવે પર પડ્યા હતા. આ કારણે એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે તાલિબાન લડવૈયાઓએ હેરત, લશ્કરગાહ અને કંદહારને ઘેરી લીધા છે. સપ્ટેમ્બર સુધીમાં વિદેશી દળોને હટાવવાની જાહેરાત બાદ તાલિબાને દેશના ગ્રામીણ વિસ્તારોમાં જબરદસ્ત પ્રગતિ કરી છે.
કંદહારમાં હાલની સ્થિતિ શું છે?
ઉલ્લેખનીય છે કે, કંદહારના એક સાંસદે બીબીસીને કહ્યું કે કંદહાર તાલિબાનના હાથમાં જવાનો ખતરો છે. તાલિબાન લડવૈયાઓ અહીં દાખલ થયા છે અને સુરક્ષા દળો સાથે સતત યુદ્ધ લડી રહ્યા છે. યુદ્ધને કારણે અત્યાર સુધીમાં હજારો લોકો કંદહારથી વિસ્થાપિત થયા છે. આ લોકોએ પાકિસ્તાન, ઈરાન જેવા દેશોમાં આશરો લીધો છે. આ સિવાય કંધહારમાં માનવીય આપત્તિનો ખતરો પણ ઉભો થઈ રહ્યો છે. હકીકતમાં, તાલિબાન પણ કંદહાર પર કબજો કરવા માંગે છે જેથી તેને સંગઠનની અસ્થાયી રાજધાની બનાવી શકાય. તમને જણાવી દઈએ કે તાલિબાનનો જન્મ કંદહારમાં જ થયો હતો.