રાજ્યમાં ટ્રાફિક નિયમોને લઇને પોલીસ જડબેસલાક છે પરંતુ લૂંટ, હત્યા, અપહરણ જેવા મામલાઓમાં કાયદો નામ માત્રનો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ અમદાવાદની કાયદો વ્યવસ્થા દિવસેને દિવસે કથળી રહી છે. અંદાજિત અઢી કિલો સોનાની સરાજાહેર લૂંટની ઘટના સામે આવી છે.
સ્માર્ટ સીટી અમદાવાદમાં સરાજાહેર લૂંટ
અમદાવાદમાં 1 કરોડના સોનાની થઈ લૂંટ
મુંબઇના વેપારીને ટાર્ગેટ કરીને અઢી કિલો સોનું લૂંટ્યું
અમદાવાદમાં અંજલી બ્રિજ પર અંદાજિત એક કરોડના 2.5 કિલો સોનાની લૂંટ થઇ છે. એક્ટિવા પર આવેલાં બુકાનીધારી કેટલાક શખ્સોએ લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ શખ્સો ફરાર થઇ ચૂક્યાં હતા. જોકે આ સમગ્ર મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મુંબઈથી વેપારી માર્કેટિંગ માટે સોનુ લઈને અમદાવાદમાં આવતો હતો. આ વેપારી જ્યારે પાલડીના અંજલિ બ્રિજ પરથી પસાર થઇ રહ્યો હતો તે સમયે એક્ટિવા પર આવેલાં કેટલાક લૂંટારૂઓ તેને આંતરીને સોનું લૂટી લીધી હતું. ત્યાર બાદ તેઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. સરાજાહેર આ ઘટના બનતા અમદાવાદની કાયદો વ્યવસ્થા પર સવાલો ઉભા થાય છે.
જોકે એક કરોડ જેટલાં સોનાની લૂંટના સમાચાર મળતા અમદાવાદ પોલીસમાં દોડધામ મચી છે. વાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસ દ્વારા શહેરમાં નાકાબંધી કરવામાં આવી છે તો સીસીટીવી ફૂટેજ આધારે પણ તપાસ હાથ ધરી છે.