અમદાવાદમાં પોલીસ પર સરાજાહેર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. આરોપી છરીની અણીએ લોકોને પોતાની લૂંટનો ટાર્ગેટ બનાવતો હતો. જોકે તેની કરતૂતને કારણે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. દિવસેને દિવસે અહીયા આરોપીઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં લૂંટને ઈરાદે ચપ્પુ લઈને એક શખ્સ નીકળ્યો હતો. જોકે સાંભળીને તમને નવાઈ લાગશે કે તે યુવકે પોલીસ ઉપરજ જીવલેણ હુમલો કર્યો છે.
4 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો
ઝડપાયેલ આરોપીનું નામ મોહન દેસાઈ હોવાનું સામે આવ્યું છે. આ શખ્સે એકજ દિવસમાં 7 વ્યક્તિઓ પર લૂંટને ઈરાદે હુમલો કર્યો હતો. શહેરના દાદા સાહેબના પગલા વિસ્તારમાં આ શખ્સે 4 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાજ પોલીસ તુરંત આરોપીને ઝડપી પાડવા ત્યા પહોચી હતી.
પોલીસ પર છરી વડે જીવલસેણ હુમલો કર્યો
જોકે પોલીસ જેવી ત્યા પહોચી કે આરોપીએ પોલીસ ઉપર પણ છરી વડે હુમલો કર્યો હતો. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રભાતસિહ શાંતુભા આરોપીને પકડવા ગયા હતા. પરંતુ ત્યા આરોપી મોહને તેમના હાથ પર છરી વડે લોહીયાળ હુમલો કર્યો જેના કારણે પ્રભાતસિંહના હાથે 3 ટાંકા આવ્યા છે.
હુમલો થયો છતા પોલીસે આરોપીને દબોચી રાખ્યો
જોકે પ્રભાતસિંહ પર હુમલો થયો તેમ છતા તેમણે આરોપીને દબોચતી રાખ્યો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જોકે પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી આજ રીતે યુનિવર્સિટી તેમજ નવરંગપૂરા વિસ્તારમાં છરી બતાવીને લોકો સાથે લૂંટ કરે છે.
આરોપી ગુનાહિત માનસિકતા ધરાવનાર
સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસે આરોપીની સામે લૂંટ તેમજ પોલીસ પર હુમલાનો ગુનો નોંધીને તેને જેલભેગો કરી દીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે. સાથેજ તે કોઈ પણ પ્રકારનો કામ ધંધો ન કરતો હોવાથી છરી બતાવીને લોકોને લૂંટી લેતો હતો.