દિવસ રાત અમદાવાદના માર્ગ હંમેશા વાહનોની ચહલ-પહેલથી ધમધમતા રહે છે. વિકાસની હરણફાળ ભરતા અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે.
અમદાવાદમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો
શહેરના માર્ગો પર વધતા અકસ્માત
ઓવરસ્પીડ ગણાય છે મુખ્ય કારણ
સ્માર્ટ સિટી અમદાવાદના માર્ગો પર અકસ્માતોની સંખ્યા પણ એટલી જ વધી રહીં છે. અમદાવાદ શહેરના માર્ગો પર છેલ્લા 19 મહિનાઓમાં 622 અકસ્માતના કેસો નોંધાયા છે. જેમાં 677 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આંકડો ટ્રાફિક પોલીસના ચોપડે નોંધાયો છે. વર્ષ 2022ના જાન્યુઆરીથી જુલાઇ મહિના સુધીમાં જ અકસ્માતના કુલ 264 કેસ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે જેમાંથી પોલીસે 265 કેસ ફેટલ અકસ્માતના ગણાવ્યા છે. અમદાવાદના એસજી હાઇવે, નરોડા, વિશાલ જંક્શન, નારોલ રોડ પર અકસ્માતોમાં ફેટલ અકસ્માતના કેસો વધી રહ્યાં છે. ત્યારે શહેર ટ્રાફિક વિભાગ આવા વિસ્તારોના હોટ સ્પોટ અંગે સ્ટડી કરાવી રહ્યો છે.
હોટ સ્પોટ પર કેવી વ્યવસ્થા ઉભી કરવી : આયોજન
સાથે સાથે આવા હોટ સ્પોટ પર કેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તે અંગે નેશનલ હાઇવે ઓથોરિટી અને મનપા સાથે મળીને કામ કરી રહી છે. અમદાવાદ શહેરમાં અકસ્માતોની વિગત પર એક નજર કરીએ તો વર્ષ 2022માં જાન્યુઆરીથી જુલાઈ માસ સુધીમાં કેટલા અકસ્માત થયા અને તેમાંથી કેટલા મરણ થયા તેની વિગતમાં સામે આવ્યું છે કે જાન્યુઆરીમાં શહેરમાં 36 અકસ્માતમાં 39 મોત, ફેબ્રુઆરીમાં 31 અકસ્માતમાં 33 મોત, માર્ચ મહિનામાં 34 અકસ્માતમાં 33 મૃત્યુ, એપ્રિલ માસમાં 39 અકસ્માતમાં 40 મોત એજ રીતે મે મહિનામાં 44 અકસ્માતમાં 47 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યુ છે.
માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ બનતા રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો
વધુમાં જૂન માસમાં 39 અકસ્માત થયા હતા. જેમાં 40 લોકોના મોત થયા છે. તેમજ જુલાઈમાં અકસ્માતના 41 બનાવમાં 41 લોકો મોતને ભેટયા છે. અકસ્માતો પાછળ ઓવર સ્પીડ મુખ્યકારણ હોવાનું સામે આવી રહ્યું છે. માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ રાહદારીઓ અને ટૂ વ્હીલર ચાલકો વધુ બની રહ્યાં છે. ઓવરસ્પીડિંગના બનાવો પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ E-મેમોનો સહારો પણ લઇ રહીં છે.