અમદાવાદઃ શહેરમાં તુટેલા રોડ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢ્યા પછી હવે તંત્ર જાગ્યું છે. તુટી ગયેલા રસ્તા અને બસ સ્ટેન્ડો રિપોર કરવાનો સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે મેટ્રો સાઈટમાં જ્યાં પણ રોડની બિસ્માર હાલત છે. તેવા તમામ રસ્તાઓને રીસરફેસ કરવામાં આવશે.
જ્યારે BRTSના તૂટી ગયેલા બસ સ્ટેન્ડોનું રૂપિયા 7 કરોડના ખર્ચે રિપેરિંગ કરવામાં આવશે. રસ્તા અને બસ સ્ટેન્ડ રિપેરિંગનું આ તમામ કામ દિવાળી પહેલા પુરુ કરવામાં આવશે.
મહત્વનું છે કે અમદાવાદમાં તુટેલા રસ્તાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન હાઇકોર્ટે AMCની આકરી ઝાટકણી કાઢી હતી. સાથે હાઇકોર્ટે અમદાવાદના રસ્તાઓની સ્થિતિનો રિપોર્ટ તૈયાર કરીને જમા કરવવાના આદેશ આપ્યા હતા. સાથો સાથ રસ્તાઓનું સતત મોનીટરિંગ કરીને તેની સ્થિતિ અંગે માહિતી આપવા પણ જણાવ્યું હતું.