શહેરમાં દર વર્ષે આશરે રૂ.રપ૦થી ૩૦૦ કરોડના રોડના કામ હાથ ધરાય છે. રોડના કામમાં ભ્રષ્ટાચારનો મામલો બે વર્ષ પહેલાં રાજ્યભરમાં ગાજ્યો હતો અને તે વખતે 'વિકાસ ગાંડો થયો છે' તેવા વિધાનસભાની ચૂંટણી દરમ્યાન સૂત્રો વહેતાં થતાં વહીવટીતંત્રની સાથે-સાથે શાસક ભાજપ પક્ષની આબરૂ પણ પ્રજામાં ખરડાઇ હતી. આજે પણ રોડના કામને લઇ છાશવારે એક યા બીજા પ્રકારનો વિવાદ ઊઠતો રહે છે.
ગઇ કાલે મળેલી નવા પશ્ચિમ ઝોનની રોડના કામની સમીક્ષા બેઠકમાં અડધા-અધૂરા કે હજુ સુધી હાથ ન ધરાયેલા રોડનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાં શાસક પક્ષ અને વહીવટીતંત્ર વચ્ચે તીવ્ર મતભેદ સર્જાતાં એક તબક્કે કમિશનર બેઠક છોડી જતા રહ્યા હતા. આ બેઠકમાં જોધપુર વોર્ડમાં છેક ર૦૧૭-૧૮ના રોડના કામ થયા નથી તેવી સ્થાનિક કોર્પોરેટરે રજૂઆત કરતાં સમગ્ર મામલો ગરમાયો હતો.
મ્યુનિસિપલ કોર્પો.માં ફરી એક વાર રોડના મામલે શાસક ભાજપ અને વહીવટીતંત્ર વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે. નવા પશ્ચિમ ઝોનની ગઇ કાલની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, શાસક પક્ષના નેતા અમિત શાહ તેમજ વેજલપુર, જોધપુર સહિતના નવા પશ્ચિમ ઝોનના કોર્પોરેટરો અને કમિશનર વિજય નહેરા, દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડે. કમિશનર ગુણવંત સોલંકી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, જે દરમ્યાન જોધપુર વોર્ડના કોર્પોરેટરોએ રોડના કામની રજૂઆત કરી હતી.
પૂર્વ મહિલા મેયર અને જોધપુર વોર્ડના મીનાક્ષીબહેન પટેલની રજૂઆત બાદ જોધપુર વોર્ડના અન્ય કોર્પોરેટર તેમજ વોટર સપ્લાય કમિટીના ચેરમેન રિશ્મકાંત શાહે તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી.
રિશ્મકાંત શાહે તંત્રને છેક ર૦૧૭-૧૮થી લઇને અત્યાર સુધીના ર૦૧૯-ર૦ વર્ષ માટેના કુલ રપ રોડની યાદી સોંપી હતી. આ યાદી અંગે રિશ્મકાંત શાહને પૂછતાં તેઓ કહે છે છેક ર૦૧૭-૧૮ના કુલ ત્રણ રોડ, ૧૮-૧૯ના ૮ થી ૯ રોડ, સ્વર્ણિમજયંતી બજેટના રોડ મળીને કુલ રપ રોડની યાદી રિસરફેસિંગ માટે તંત્રને અપાઇ હતી, જોકે સત્તાવાળાઓએ રિસરફેસિંગના બદલે માત્ર પેચવર્કના કામ કર્યાં છે, જેના કારણે પ્રજાને મુશ્કેલી પડે છે. મારી રજૂઆત બાદ અત્યારે પેવર ચાલુ કરાયા છે, પરંતુ જે એજન્સીને કામ સોંપાય તે એજન્સીએ આયોજનબદ્ધ કામ કરવું જોઇએ તે મુજબ થતું નથી.
દરમ્યાન જાણકાર સૂત્રો કહે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે તે એજન્સીને કરોડો રૂપિયાના કામ સોંપી દેવાય છે, જેમાં એજન્સી પેટાના પેટા કોન્ટ્રાકટ આપીને વચ્ચેની મલાઇ તારવી લે છે અને તેમ છતાં સમયસર રોડના કામ થતા નથી. સંબંધિત ઇજનેર વિભાગના અધિકારીઓ પણ રોડના કામનું સુપરવિઝન કરતા ન હોઇ સરવાળે નાગરિકોને ભોગવવું પડે છે.
આ દરમ્યાન દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર ગુણવંત સોલંકીને વર્ષ ર૦૧૭-૧૮ના બાકી રહેલા રોડના કામ અંગે પૂછતાં તેઓ કહે છે, ર૦૧૭-૧૮ના રોડના ટેન્ડર જ થયા ન હતા, જે હવે થયા છે અનેે તે વર્ષના રોડ સહિતના તમામ રોડના કામો પ્લાનિંગ મુજબ વ્યવસ્થિત રીતે થશે.