શહેરમાં દર વર્ષે ચોમાસા બાદ મોટા પાયે રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાય છે. એક અંદાજ પ્રમાણે પ્રતિ વર્ષ રૂ.૩૦૦થી રૂ.૩પ૦ કરોડનાં રોડ રિસરફેસિંગનાં કામ હાથ ધરાય છે. આ વખતે આસોમાં અધિક મહિનો હોઇ તંત્રને દશેરા-દિવાળી પહેલાં શહેરના રસ્તાને ચકાચક કરવાની આકસ્મિક રીતે તક મળી છે. દિવાળી બાદ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની પ્રબળ શક્યતા હોઇ નાગરિકોને તે પહેલાં તૈયાર થયેલા સારા રસ્તા ચોક્કસ આકર્ષી શકશે. જોકે રોડ રિસરફેસિંગનાં કામ રાબેતા મુજબ હાથ ધરાશે.
તંત્રની વેબસાઇટ પર લાંબા સમયથી તૂટેલા રોડની યાદી મુકાતી નથી
ઝોનલ સ્તરેથી પ૦,૦૦૦ મેટ્રિક ટનનાં કામ થશે
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૩,૦૦૦ મેટ્રિક ટનનું કામ કરાશે
અત્યાર સુધીમાં ૩૮૦૦ મેટ્રિક ટનનું કામ થયું
આમ તો તા.૧ ઓકટોબરથી રોડ રિસરફેસિંગનાં કામ ઝડપભેર ચાલુ કરવાનાં હતાં. જે હવે સોમવારથી ધમધમવાં લાગ્યાં છે. ઝોનલ સ્તરેથી પ૦,૦૦૦ મેટ્રિક ટનનાં કામ થશે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૩૮૦૦ મેટ્રિક ટનનું કામ થયું હોઇ હવે ૧૦થી ૧ર પેવર લગાડીને દરરોજ ૩,૦૦૦થી ૩પ૦૦ મેટ્રિક ટનનું કામ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. મ્યુનિ. કમિશનર મૂકેશકુમારે પણ ખમાસા-દાણાપીઠ ખાતેની તેમની ઓફિસમાં રોડના કામની સમીક્ષા કરી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૧૩,૦૦૦ મેટ્રિક ટનનું કામ કરાશે. તંત્રનાં આયોજનને જોતાં ટૂંક સમયમાં રોડ રિસરફેસિંગની કામગીરી નાગરિકોની આંખમાં ઊડીને વળગશે.
વેઠ ઉતારાઇ હોવાની ફરિયાદ ઊઠી
જોકે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના કારણે શહેરમાં હવે સ્ટેટ અને નેશનલ હાઇવેની કક્ષાના રોડ બનશે તેવો બે વર્ષ પહેલાં તંત્રે કરેલો દાવો ખોટો પડયો છે. કેમ કે આ ચોમાસામાં મુખ્ય રસ્તા પર ખાડા પૂરવાની કામગીરીમાં પણ કયાંક કયાંક વેઠ ઉતારાઇ હોવાની ફરિયાદ ઊઠી છે.
ટેકનોલોજી ભૂલી દેવાઇ
બીજી તરફ આશરે ૩૦ ટકા ઊંચા ભાવના રોડ રિસરફેસિંગનાં ટેન્ડરને મંજૂરી અપાયા બાદ આ વર્ષે પણ પરંપરાગત શૈલીથી રોડ રિસરફેસિંગ કરાશે. પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન જેવા ઝોનના પેચવર્કિંગ માટે મિલિંગ ટેકનોલોજી ઉપયોગમાં લેવાશે, પરંતુ રોડ રિસરફેસિંગમાં પહેલાં ઘાટલોડિયામાં ૧૩ જેટલા રોડના કામમાં મિલિંગને ઉપયોગમાં લાવ્યા બાદ આ ટેકનોલોજી ભૂલી દેવાઇ છે. રોડ પર ડામરના થરના થર પાથરી દેવાથી જે પ્રકારે તેની ઊંચાઇ વધીને તે રોડ ડિવાઇડરની સમકક્ષ થાય છે જેના કારણે ચોમાસામાં નીચાણવાળી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઇ જાય છે તે સમસ્યા આગામી ચોમાસામાં પણ નાગરિકોને હેરાન કરશે.
ગેરંટીવાળા રોડ તૂટે તો પણ કોન્ટ્રાકટરને પેનલ્ટી કરાતી નથી
પહેલાં રોડનાં કામમાં પાંચ વર્ષની ગેરંટી લેવાતી હતી. જે હવે ત્રણ વર્ષની ગેરંટી કરાઇ છે. જોકે ગેરંટીવાળા રોડ તૂટે તો પણ કોન્ટ્રાકટરને પેનલ્ટી કરાતી નથી. પ્લાસ્ટિકના રોડ વધુ ટકાઉ પુરવાર થયા હોવા છતાં આ વર્ષે પ્લાસ્ટિક રોડ કયાંય બનવાનો નથી. આજ રીતે આરસીસી રોડના મામલે પણ તંત્ર ખાસ ઉત્સાહી નથી. ડામરના રોડ કરતાં આરસીસીના રોડ વધુ મજબૂત હોઇ અગમ્ય કારણસર આરસીસી રોડને વધુ મહત્ત્વ અપાઇ રહ્યું નથી. ફકત અને ફકત ડામરના રોડ જ પસંદ થઇ રહ્યા છે.
તંત્રની વેબસાઇટ પર લાંબા સમયથી તૂટેલા રોડની યાદી મુકાતી નથી
આ ઉપરાંત રોડનાં કામના થતા ભ્રષ્ટાચારને રોકવા જે તે રોડ રિસરફેસિંગના કામમાં કોન્ટ્રાકટરનું નામ, પ્રોજેકટ કોસ્ટ, ગેરંટી પિરિયડ દર્શાવતું બોર્ડ મૂકવાની જાહેરાત પણ પોકળ પુરવાર થઇ છે. કેમ કે રોડની ગેરંટી પિરિયડ જેવી માહિતી દર્શાવતાં બોર્ડ મુકાવાનાં નથી. એટલે આગામી ચોમાસામાં પણ કરોડોના ખર્ચે બનનારા રોડ ફરીથી તૂટશે તેવી લોકોમાં અત્યારથી જ ચર્ચા ઊઠી છે. તમામ કામગીરીમાં પારદર્શિતાનો દાવો કરનાર સત્તાધીશો પણ તૂટેલા રોડની માહિતી પર ઢાંકપિછોડો કરી રહ્યા છે.
તકલાદી પુરવાર થતા રોડની ગુણવત્તામાં પણ સુધારો થાય તેમ છે
કેમકે તંત્રની વેબસાઇટ પર લાંબા સમયથી તૂટેલા રોડની યાદી મુકાતી નથી. જો તૂટેલા રોડ અને તે માટે જવાબદાર કોન્ટ્રાકટરની યાદી વેબસાઇટ પર મુકાય તો વર્ષો વર્ષ થતાં કરોડો રૂપિયાના રોડ કૌભાંડ પર આંશિક રીતે બ્રેક લાગી શકે છે. આ ઉપરાંત તકલાદી પુરવાર થતા રોડની ગુણવત્તામાં પણ સુધારો થાય તેમ છે. પરંતુ મોટો પ્રશ્ન 'જો તૂટેલા રોડની યાદી મુકાય તો રોડની ગુણવત્તા સુધરે' તેવા 'જો અને તો'નો છે.