વીરપુર-જેતપુર નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો માથે અકસ્માતનો ખતરો ઝળુંબી રહ્યો છે. બીજી બાજુ પુરતો ટેક્સ ભરવા છતાં પણ લોકોને સુવિધા પુરી ન મળતા સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ ફેલાયો છે.
વિરપુર-જેતપુર નેશનલ હાઇવે બિસ્માર
જોખમી પુલને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ
પુલની રેલીંગ તૂટેલી હાલતમાં છતાં તંત્ર ઘોર નિંદ્રામાં!
યાત્રાધામ વિરપુર-જેતપુર-રાજકોટ નેશનલ હાઈ વે ખખડધજ હાલતમાં હોવાથી વાહનચાલકોને પરેશાનીનો કોઈ પાર નથી. વીરપુર ગામ પાસે હાઇવે રોડ તેમજ બિહામણી પુલ તરીકે ઓળખાતા પુલની રેલીંગ છ માસથી તૂટેલી હાલતમાં છે. છતાં પણ નેશનલ હાઈ વે ઓથોરિટી રીપેરીંગને બદલે હાથ ઘસતું હોવાનું લોકો જણાવી રહ્યા છે. તંત્રના વાંકે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
નેશનલ હાઇવે 27 માં મસમોટા ખાડાઓ
ટોલટેક્ષ ઉઘરાવવા અધીરૂ રહેતું તંત્ર વાહન ચાલકોને સારા માર્ગની સુવિધા આપવામાં ઉણું ઉતાર્યું છે. ખખડી ગયેલા માર્ગો આ બાબતની ચાડી ખાઈ રહ્યા છે. તેવામાં જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર ગામ પાસેના નેશનલ હાઇવે 27 માં મસમોટા ખાડાઓ પડી ગયા છે. ઉપરાંત બિહામણીના તરીકે ઓળખાતા પુલમાં રેલીંગ તૂટેલી હોવાથી અહીંનો માર્ગ વાહનચાલકો માટે ખરેખર બિહામણો સાબિત થયો છે. થોડા દિવસ પૂર્વે જ પેસેન્જર ભરેલ એક છકડો રિક્ષા અહીં પૂલ નીચે ખાબક્તા સ્હેજમાં અટકી હતી. રીપેરીંગ બાબતે નેશનલ હાઈવે ઓથોરીટીને અનેકવાર ઓનલાઈન રજુઆતો કરી છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાની પણ લોકોમાં રાવ ઉઠી છે. બીજી બાજુએ લોકોએ VTV સમક્ષ પોતાની વ્યથા ઠાલવી ઝડપથી રોડનું સમારકામ તેવી માંગ કરી છે.
ખખડધજ માર્ગનું સમારકામ ન કરાતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય
નેશનલ હાઇવે ઉપરાંત આ માર્ગ પર યાત્રાધામ વીરપુર આવેલ હોવાથી હાઇવે રોડ પરથી રોજના હજારો વાહનો પાસર થાય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી આ પુલની રેલીંગ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકો ભયના ઓથા હેઠળ પસાર થઇ રહ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પુલનું સમારકામ ન કરાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ટેક્સ ઉઘરાવતું તંત્ર નેતિકતા દાખવી તાત્કાલિક માર્ગના મરામતની દિશામાં કાર્યવાહી હાથ ધરે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.