રાજ્યમાં વરસેલા વરસાદે મહાનગરોના તંત્રની પોલ ખોલી નાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરોના રોડ કમર તોડ બની ગયા છે. ઉબડ ખાબડ રોડ પરથી જનતા મૂંગા મોઢે પસાર થતી રહી અને મનમાં એએમસી સામે નારાજગી વ્યક્ત કરતી રહી. પરંતુ નવાઈની વાત એ બની કે શહેરના બિસ્માર રોડ પર ખુદ ભાજપના જ એક નેતાએ ટકોર કરી છે. જો કે એ પછી એએમસી તંત્ર હરકતમાં આવી ગયું છે.
હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે અમદાવાદ શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા
બિસ્માર રસ્તા અંગે ભાજપ સરકારના જ એક નેતાએ પોલ ખોલી
અમદાવાદ શહેરના મેયરે કહ્યું - AMCએ બનાવેલા રોડ ક્યાંય તૂટ્યા નથી
નવા ટ્રાફિક દંડ પર નાગરિકોની નારાજગી
રાજ્યમાં એક તરફ નવા ટ્રાફિક દંડ લાગુ પડવાની તૈયારીઓ થઈ રહી છે. જેના પર નાગરિકોની નારાજગી જોવા મળી રહી છે. બીજ તરફ હવે શહેરમાં ઊબડખાબડ બનેલા રોડનો નવો જ વિવાદ સર્જાયો છે. ચોમાસા દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે અને અને હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે અમદાવાદ શહેરના રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. શહેરના નાગરિકોને એ સમજાતું નથી કે, શહેરના વિકસિત વિસ્તારો હોય કે અલ્પવિકસિત વિસ્તારો હોય, દરેક જગ્યાએ રોડની સ્થિતિ સરખી છે.
હેલમેટ ક્રોસ રોડ જેવા અથવા કહો કે તેનાથી પણ બદતર હાલત અમદાવાદના અન્ય વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. વરસાદે હલકી ગુણવત્તાના રોડની પોલ ખોલી નાખી છે. રોડ પર માત્ર કપચી અને ખાડા જોવા મળી રહ્યા છે અને ટેક્સ ભરનારા નાગરિકો રોડ પર પોતાની કમર તોડી રહ્યા છે.
ભાજપના નેતાએ જ પોલ ખોલી નાંખી
શહેના ઉબડખાબડ રોડ પરથી પસાર થઈ રહેલા નાગરિકો પરેશાન છે. તેઓ પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવા રોડ પર નીકળ્યા છે. પરંતુ તેઓ કદાચ દવાખાને તો નહી પહોંચી જાયને તેનો તેમને ડર સતાવી રહ્યો છે. બોપલથી શાંતિપુરા તરફ જતા રસ્તા બિસ્માર છે. કદાચ આ રોડની આવી હાલત અંગે કોઈ સામાન્ય નાગરિકે ફરિયાદ કરી હોત તો ધ્યાન પર લેવામાં આવી ન હોત. પરંતુ સરકારી તંત્રની રોડ બાંધણીમાં દાખવાતી બેદરકારી અંગે શાસક ભાજપ સરકારના જ એક નેતાએ પોલ ખોલી નાખી છે અને તંત્રને ટ્વીટ કરીને તેમની જવાબદારી યાદ અપાવી છે.
ભાજપ પ્રવક્તા આઈ.કે.જાડેજાએ રસ્તા મામલે ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, ''અમદાવાદના બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. ઔડાના અધિકારીઓ આ રોડ ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોની કોઇ જ જવાબદારી ઉપસ્થિત નથી થતી ?'' આ ટ્વીટ કરીને તેમણે ઔડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર સવાલ કર્યા છે. એમણે
ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ ભલે બોપલ બ્રિજથી શાંતિપુરા ચોકડી સુધીના રસ્તા અંગે જ ટ્વીટ કર્યું હોય, પરંતુ તેમના આ ટ્વીટ દ્વારા સમગ્ર અમદાવાદની સ્થિતિનો તાગ પામી શકાય છે. કદાચ તેમનું આ ટ્વીટ અમદાવાદના કરોડો નાગરિકોનો જ અવાજ છે. પરંતુ અમદાવાદ શહેરના મેયરનું કહેવું છે કે, એએમસીએ બનાવેલા રોડ ક્યાંય તૂટ્યા નથી, જે રોડ તૂટી ગયા છે તે ઔડા હસ્તકના છે. કદાચ એ રોડની આવરતા પૂરી થઈ ગઈ હશે.
શહેરના બિસ્માર રસ્તા પર એકબીજાને ખો આપવાની પ્રવૃત્તિ હવે અટકે તો સારું. કેમકે, સવાલ નાગરિકોના સ્વાસ્થ્ય અને નાગરિરોના ટેક્સનો છે. એકાદ વર્ષ પહેલા ખુદ હાઈકોર્ટે એએમસીની દાનત પર ટકોર કરી હતી છતાં, શહેરમાં રોડની સ્થિતિ ઠેરની ઠેર છે.