વડોદરામાં ખટંબા ગામે નિર્જન વિસ્તારમાં બનાવી દીધો રોડ, વિપક્ષે શાસક પક્ષ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ
વડોદરામાં વધુ એક રોડ આવ્યો વિવાદમાં
ખટંબા ગામે જંગલમાં જ બનાવી દીધો રોડ
રોડ પુરો થાય ત્યાંથી શરુ થાય છે તળાવ
વડોદરામાં હજી ખેતરમાં રોડ બનાવવાનો વિવાદ તાજો છે ત્યાં જ બીજો એક વિવાદ ઉભો થયો. વડોદરાના વાઘોડિયામાં ખટંબા ગામે નિર્જન જગ્યાએ રોડ બનાવ્યો હોવાનુ સામે આવ્યું. જ્યાં કોઇ રહેવા પણ આવ્યુ નથી તેવા જંગલ અને નિર્જન વિસ્તારમાં રોડ બનાવી દેવાયો. કેનાલની બાજુમાં જ રોડ બનાવી દેવાતા ભ્રષ્ટાચાર ગંધ આવી રહી છે.
'ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું મોડલ'
વિપક્ષના નેતા અમીરાવતે આ સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા આક્ષેપ લગાવ્યો હતો કે જે ડેવલપર્સે અહીં જમીન લીધી છે તેઓની જમીનનો ભાવ વધારો થાય તે માટે આ કામ કરવામાં આવ્યું છે. જે જગ્યાએ કોઇ બેઝિક ઇન્ફ્રાસ્ટ્ક્ચર નથી તેવી જગ્યાએ રોડ બનાવવાનો કોઇ મતલબ નથી. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું મોડલ છે. આવા બિનજરુરી રોડ બની રહ્યા છે તેમાં બીજેપીના ધારાસભ્યોએ પણ સમર્થન કર્યુ છે. મહત્વનું છેકે જે જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો તે રોડ પુરો થાય ત્યાં જ તળાવની શરુઆત થાય છે તો પછી રોડ બનાવવાનું કારણ શું ?
પ્રજા વલખા મારે, ડેવલપર્સને ફાયદો ?
એક તરફ પ્રજા પ્રાથમિક જરુરિયાતો ન સંતોષાતા પરેશાન છે. પાણી, રોડ રસ્તા અને ગટર જેવી સુવિધાઓ ન મળતા પરેશાન થઇ રહી છે તો બીજી બાજુ ખંઢેર જગ્યામાં રોડ બનાવી નાંખવામાં આવ્યા. જ્યારે જનતા કોઇ સુવિધા માટે રજૂઆત કરવા જાય ત્યારે પૈસા ન હોવાના બહાના તેમજ થઇ જશે તેવા વાયદા કરવામાં આવે છે ત્યારે આવી નિર્જન જગ્યાએ રોડ બનાવવાના પૈસા આવ્યા ક્યાંથી ? શું ડેવલપર્સના ખિસ્સા ભરાય તે માટે આ કામગીરી કરવામાં આવે છે? કિલોમીટરના કિલોમીટર સુધી રોડ બની જાય છે તો શું જે તે વિસ્તારના ધારાસભ્યોને આની ખબર હોતી નથી ? શા માટે ધારાસભ્યો પણ આંખ આડા કાન કરી રહ્યા છે ? કોના ફાયદા માટે, કોના ખિસ્સા ભરવા આ સત્તાધીશો પ્રજાના પૈસા વેડફી રહ્યા છે ? પ્રજા સમયસર ટેક્સ ભરે તેમ છતાં પણ પુરતી પ્રાથમિક સુવિધા મળતી નથી અને અહીં કરોડો રુપિયાના બિનજરુરી રસ્તા બની જાય છે, કેમ ?
અગાઉ ખેતરમાં બનાવ્યો હતો રસ્તો
વડોદરા શહેરી વિકાસ સતા મંડળ દ્વારા અંકોડિયા વિસ્તારમાં જ્યાં માત્ર ખેતરો હતા ત્યાં રોડ બનાવવામાં આવ્યો.. આ રોડ પણ 5 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે. કોઈ રહેણાક નાં હોવા છતાં ખેતરમાં રસ્તા બનાવવાથી છેલ્લા ચાર વર્ષથી આ રસ્તાઓ બીનઉપયોગી સાબિત થયા છે. સ્થાનિક ખેડૂતોએ રોડની વચ્ચે જ તારથી ફેન્સીગ કરી દીધી છે. આ જ વિસ્તારમાં કેટલાક રાજકીય નેતાની જમીનો પણ આવેલી છે. આ વિસ્તાર કોર્પોરેશનમાં સામેલ થાય તે પહેલા જ વુડાએ રોડ બનાવી દેતા મોટી સાંઠ-ગાંઠની બૂ આવી રહી છે. સત્તા મંડળે આ પહેલા એક કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાને લાભ અપાવવા માટે પણ રસ્ત્તો બનાવી આપ્યો હતો.