માર્ગ સલામતીમાં સુધારો લાવવાના હેતુથી સુધારેલા મોટર વાહન અધિનિયમનો રાષ્ટ્રીય સ્તરે અમલ શરુ થયો છે. ગુજરાતમાં ૧૬ સપ્ટેમ્બરથી અમલ શરૂ કરાયો છે. જોકે ગુજરાત સરકારે કેન્દ્ર દ્વારા સૂચવાયેલા દંડની રકમમાં કેટલીક રાહતો જાહેર કરી છે.
કેટલાંક રાજ્યોની સરકાર ભારે દંડ વસૂલી લોકોને નારાજ કરવા માગતી નથી
ટ્રાફિક નિયમોને ગંભીરતાથી ન લેવા પાછળ શું હતા કારણો
વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેનાતી થતાં મૃત્યુમાં ભારતનો પ્રથમ નંબર
કેટલાંક રાજ્યોએ ટ્રાફિક નિયમોનો અમલ કરવા કર્યો ઇન્કાર
બીજી બાજુ પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજયોએ તેનો અમલ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો છે. ભારે દંડનીય જોગવાઇના અમલમાં કેટલીક અડચણો છે. કેટલાંક રાજયોમાં આ સત્તાનો ઉપયોગ કરીને પોલીસે લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. લોકોમાં કાયદાના અમલ સામે ગણગણાટ પણ છે. ખાસ કરીને દંડની રકમ સામે લોકોને વાંધો છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત મધ્યપ્રદેશની સરકાર પણ ભારે દંડ વસૂલીને લોકોને નારાજ કરવા માગતી નથી. આ જ કારણોસર તેનો અમલ કરવાનો ઇન્કાર કર્યો છે, જ્યારે રાજસ્થાને કહ્યું છે કે દંડની રકમની સમીક્ષા કર્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.
ટ્રાફિક નિયમોને ગંભીરતાથી ન લેવા પાછળનું આ છે કારણ
આપણા દેશમાં ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી ન લેવા પાછળનું એક કારણ દંડની મામૂલી રકમ અને પોલીસના ડરનો અભાવ હતો. તેનાથી પણ મોટું કારણ જાગૃતિનો અભાવ પણ છે. સોશિયલ મીડિયામાં જે રીતે નવા નિયમો અને દંડનો વિરોધ થઇ રહ્યો છે તે પણ આપણી ભારતીયોની માનસિકતા દર્શાવે છે. ક્યારેક લોકો એવું વિચારીને નિયમોનું ઉલ્લંઘન કરશે કે પકડાશે તો પણ સસ્તામાં પતી જશે. નિયમોનો ભંગ કરવાની બાબતને કેટલાક જાણે બહાદુરી સમજે છે. રસ્તાઓ પર અરાજકતાનું આ એક મુખ્ય કારણ છે.
વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુમાં ભારત પ્રથમ નંબરે
દંડની વધુ જોગવાઇ કરતાં પણ વધારે મહત્વનું છે તેનો ઠોસ અમલ કરવાની. વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેનાથી થતાં મૃત્યુમાં ભારત પ્રથમ નંબરે છે. તે જોતા નિયમ ભંગ કરતા વાહનચાલકોને ડર લાગે તેવો દંડ ફટકારવો જરૂરી લાગે. ખિસ્સા ખાલી થવાના ડરથી પણ આવા વાહનચાલકો નિયમ પાલન કરતા થાય તે તેનો હેતુ છે. જોકે તેમાં એક ભયસ્થાન એ પણ છે કે સામાન્ય રીતે કોઇના પર પણ જોખમ ન થાય તે રીતે વાહન ચલાવતા અને એકંદરે નિયમોનું પાલન કરતા વાહનચાલકો પણ એકાદ ડોક્યુમેન્ટના અભાવે દંડાશે. વળી રસ્તાઓ પર સામાન્ય રીતે સાંજે સાત વાગ્યા પછી પોલીસ હોતી નથી. આવા સમયે બેફામ ડ્રાઇવિંગ કરતા લોકોને કેવી રીતે નાથી શકાશે તે મોટો પ્રશ્ન છે.
જોકે ભારે દંડની તરફેણમાં એવી દલીલ કરાય છે કે શરૂઆતમાં તેના ડરથી લોકો નિયમોનું પાલન કરે છે અને પછી તે એક ટેવની જેમ રોજબરોજની જિંદગીનો ભાગ બની જાય છે. કારણ કે નવો કાયદો અમલમાં આવતાની સાથે જ લોકોએ હેલમેટ ખરીદવા અને પીયુસી તેમજ વીમો મેળવવા દોડધામ શરૂ કરી દીધી છે. પરંતુ જાહેર જનતા ઉપર ભારે દંડ ઉપરાંત સરકાર અને પોલીસ સહિતનાવહીવટી તંત્રની પણ માર્ગ સલામતીમાં કેટલીક જવાબદારી છે.
રસ્તાઓનું સારી રીતે સંચાલન કરવામાં આવે ત્યારે જ આ શક્ય બનશે. ર૦૧૩-ર૦૧૭ દરમિયાન, ફક્ત રસ્તાના ખાડાને કારણે થતાં અકસ્માતમાં ૧૪,૯ર૮ લોકોનાં મોત થયાં છે. ટ્રાફિક સિગ્નલ મોટાભાગે બંધ હોય છે. ફૂટપાથ રાહદારીઓ માટે જાણે રહી નથી તે હદે દબાણો થયા છે.અનેક ફૂટપાથો તો ગાયબ જ થઇ ગઇ છે.
ટ્રાફિક પોલીસ પણ ઘણીવાર પિકઅવર્સમાં દેખાતા નથી. આપણા ત્યાં પોલીસ રસ્તા પર કેટલાં ઉઘરાણાં કરે છે તે જગજાહેર છે. ભ્રષ્ટ પોલીસ કર્મારીઓની હવે બે નંબરની કમાણી કરવાની પણ તક વધશે. અત્યારે મોટાભાગના શહેરોમાં ટ્રાફિક પોલીસની જગ્યાઓ ખાલી છે.મુખ્ય માર્ગ સિવાયના રસ્તા પર પોલીસ હોતી નથી.સીસીટીવી કેમેરાનું નેટવર્ક પણ એટલું વ્યાપક નથી. વળી શહેરમાં વહેલી સવારે અને સાંજ પછી કે જયારે પોલીસ હોતી નથી ત્યારે બેફામ વાહનચાલકોને કોણ પકડશે તે પણ મોટો સવાલ છે.