સાબરકાંઠાઃ શહેરના રેલવે ઓવર બ્રિજ પરથી બસ નીચે ખાબકી હોવાની ઘટના સામે આવી છે. હિંમતનગર-શામળાજી હાઈ-વે પર બસ બાજુના રોડ પર પલટીને ખાબકતાં 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે. બસ રાજસ્થાનથી અમદાવાદ આવી રહી હતી. તે સમયે આ અકસ્માત સર્જાયો છે. તો ઘાયલ લોકોને સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનની બસ(RJ 35 PA 0999) નેશનલ હાઈવે પર ગાંભોઈ નજીક આવેલા સરવણા રેલ્વે ઓવર બ્રીજ પરથી લકઝરી બસ નીચે ખાબકી હતી. આ ઘટના સવારના સાડાચાર વાગ્યાની છે જેમાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રેલ્વે ઓવરબ્રીઝ ઉપરથી નીચે ખાબકી પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
લક્ઝરી બસમાં સવાર ૫૦ મુસાફરોમાંથી ૪૦થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં ૭થી વધુ મુસાફરો ગંભીર હાલતમાં હિમતનગર સિવિલ ખસેડાયા હતા. તો લક્ઝરી બસ પલટી મારતા અંદર પણ મુસાફરો ફસાયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેઓને બહાર કાઢી સારવાર અર્થે ૧૦૮ દ્વારા સિવિલ પહોંચાડ્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસને થતા તત્કાળ ઘટના સ્થળે પહોંચીને મુસાફરોને સારવાર અર્થે પહોચાડવાનું કામ કર્યું હતું. તો લક્ઝરી બસને ક્રેન દ્વારા ઉભી કરી ત્યાંથી હટાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી. બસ ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક જણાઈ આવે છે.