નવા મોટર વ્હિકલ એક્ટ બાદ દેશમાં અકસ્માતમાં ઘટાડો થયો છે. નવો કાયદો લાગુ થયા બાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ગંભીર અકસ્માતમાં 75 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નવો મોટર વ્હિકલ એક્ટ એક સપ્ટેમ્બરથી લાગૂ થયો હતો. જે બાદ કેટલાક રાજ્યો સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અકસ્માતથી મોતની ઘટનાઓ ઓછી થઇ છે.
નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ અકસ્માતમાં થયો ઘટાડો
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં અકસ્માત ઘટ્યા
બે મહિનાની અંદર દેશભરમાં કુલ અકસ્માતમાં કુલ 75 ટકાનો ઘટાડો
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રાજ્યસભામાં એક લિખિતપ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી. જેમાં ગડકરીએ કહ્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચંડીગઢમાં અકસ્માતમાં માત્ર 2 લોકોના મોત થયા છે જ્યારે ગત વર્ષે 8 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઉત્તરાખંડમાં આ દરમિયાન અકસ્માતથી મોતની સંખ્યામાં 22 ટકાનો ઘટાડો આવ્યો છે.
ઉત્તરાખંડમાં 22 તો ગુજરાતમાં 14 ટકાનો ઘટાડો
ગત વર્ષે ઉત્તરાખંડમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં 78 લોકોએ અકસ્માતથી જીવ ગુમાવ્યો હતો જ્યારે આ વર્ષે 61 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ગત વર્ષે 557 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે આ વર્ષે તેની સંખ્યા ઘટી અને 480 થઇ ગઇ છે. જે 14 ટકા ઓછી છે. એટલે કે નવા મોટર વ્હિકલ એક્ટના કારણે ઘણો ફાયદો થયો છે તેમ કહી શકાય.
ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ જોવા મળ્યો ઘટાડો
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં જણાવ્યું કે બિહારમાં ગત વર્ષની સરખામણીએ મૃત્યુ દરમાં 10.5 ટકા ઓછો રહ્યો. આ બે મહિનામાં ગત વર્ષે 459 લોકોના મૃત્યુ થયા જ્યારે આ વખતે આ આંકો 411 રહ્યો. ઉત્તર પ્રદેશમાં પણ રોડ એક્સિડન્ટથી થતા મૃત્યુઆંકમાં 10 ટકાનો ઘટાડો થયો. ગત વર્ષે આ આંકડો 1503 હતો જ્યારે આ વખતે 1355 રહ્યો.