ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં બુધવારે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અહીં બિલ્હોર કટરા હાઇવે પર ટ્રેકટર ટ્રોલી અને ડીસીએમ વચ્ચે અકસ્માત થયો. આ દૂર્ઘટનામાં છ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 30 લોકો ઘાયલ થવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આ દૂર્ઘટના બિલગ્રામ કોતવાળી વિસ્તાર હેઠળના સદરપુરની છે. આ રોડ અકસ્માત મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ સર્જાયો હતો. ટ્રેકટર ટ્રોલીમાં સવાર અંદાજે 35 લોકો બધૌલી થાના ક્ષેત્રના રામ ભારત પુરવા નિવાસી પ્રકાશની દિકરીના તિલક કાર્યક્રમમાં ગયા હતા. જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના ઘટી હતી.
ઇજાગ્રસ્તોને નજીક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દૂર્ઘટનાને લઇને દુઃખ વ્યકત કર્યું છે. યુપીના સીએમએ દરેક ઘાયલોને ઇલાજ તેમજ મૃતકોના પરિવારજનોને સર્વહિત વીમા યોજના હેઠળ સહાય આપવાનો આદેશ કર્યો છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેકટર ટ્રોલી ઘણીબધી વાર પલટી ગઇ હતી. અકસ્માત બાદ લોકોની ચીચીયારીથી આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.