PM મોદીએ ગયા વર્ષે જેનું ઉદ્ઘાટન કર્યુ હતુ તેવી ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી પર ફરી વખત સંકટના વાદળો છવાયા છે. આ વખતે મામલો ગંભીર છે કેમકે રો-પેક્સ ફેરી ચલાવનારી કંપનીએ PM મોદી અને રાજ્યના CM રૂપાણીને પત્ર લખીને ખંભાતના અખાતમાં રો-પેક્સ ફેરી ના ચલાવવાની ચીમકી આપી છે.
રિપોર્ટ અનુસાર સુરતમાં આવેલી ઇન્ડિયો સીવેવ્ઝ નામની કંપની રો-પેક્સ ફેરીનું સંચાલન કરે છે. કંપની અનુસાર રો પેક્સ ફેરીને યોગ્ય રીતે ચલાવવા માટે પાંચ મીટર જેટલું ઊંડું પાણી હોવું જરુરી છે. જોકે હાલ કેટલીક જગ્યાએ પાણીનું સ્તર માંડ અઢી થી ત્રણ મીટર જેટલું જ ઉંડું છે.
કંપનીનું કહેવુ છે કે દહેજ પાસે રિલાયન્સ જેટી દહેજ ચેનલના મુખ પાસે તેમજ ઘોઘાના ટર્નિંગ સર્કલ પાસે પાણીને ઉંડું રાખવા માટે સતત ડ્રેજિંગ (કાદવ ઉલેચવાની પ્રક્રિયા) આવશ્યક છે. અગાઉ આ કામ ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા થતું હતું પરંતુ હવે તેનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે અને આ કોન્ટ્રાક્ટરો પાછા ખેંચી રહ્યા છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ દરિયામાં પાણીની ઉંડાઈ ઓછી હોવાના કારણે એન્જિનમાં કાદવ અને પ્લાસ્ટિક કોથળી ફસાઇ જતા ફેરી મધ દરિયે ફસાઇ ગઇ હતી. તેના રિપેરિંગ માટે ઘણા દિવસો સુધી બંધ રાખવામાં આવી હતી અને રિપેરિંગનો ખર્ચો દોઢ કરોડ રૂપિયા થયો હતો જેથી કંપનીએ PM મોદી અને CM રૂપાણીને ફેરી બંધ કરવાની ચીમકી આપી છે.
રો-પેક્સ ફેરી શરુ થઈ ત્યારે તેની 57 ટકા સીટો ભરાયેલી રહેતી હતી જોકે ટેક્નિકલ ખામીઓ પછી હવે માંડ 27% સીટ ભરાય છે. મેરીટાઈમ બોર્ડ કંપનીને ભરતી દરમિયાન રો-પેક્સ ફેરી ચલાવવા કહે છે પરંતુ તે શક્ય નથી. તેવામાં રો-પેક્સ ફેરી ચલાવનારી કંપની જ મુશ્કેલીમાં આવી ગઇ છે.