15મી ઓગસ્ટથી રાજકોટમાં દોડશે વધુ 50 ઇલેક્ટ્રિક બસો, પહેલાની 25 સાથે હવે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે 75 ઇલેક્ટ્રિક બસો દોડશે
રાજકોટમાં વધુ 50 ઇલેક્ટ્રિક બસો દોડશે
15મી ઓગસ્ટથી દોડશે વધુ 50 ઈલેક્ટ્રિક બસો
એક સાથે 75 ઇલેક્ટ્રિક બસો દોડશે
સમગ્ર દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 15મી ઓગસ્ટના રોજ ભારત આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થશે તે ઘડીએ રાજકોટ વાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. બસમાં મુસાફરી કરનાર લોકોને વધુ સુવિધા તેમજ સમગ્ર રાજકોટમાં રુટ આસાનીથી મળી રહે તે હેતુથી રાજકોટમાં વધુ 50 ઇલેક્ટ્રિક બસો 15 ઓગસ્ટથી સેવામાં મૂકવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટમાં હાલ 25 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે છે બીજી 50 બસોનો ઉમેરો થતાં હવે 75 ઈલેક્ટ્રિક બસો રંગીલા રાજકોટની સફર કરાવશે.
આપણે જણાવી દઈએ કે હાલ શહેરમાં 150 ફુટ રોડ રિંગ રોડ પર ડીઝલવાળી બસો દોડી રહી છે. અને બીઆરટીએસ ટ્રેક પર 25 ઈલેક્ટ્રિક બસો સેવામાં છે. તાજેતરમાં નવી 100 ઈલેક્ટ્રિક બસ માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન કંપની ઇલેક્ટ્રિક બસ સેવા ડ્રાઇવર સાથે પૂરી પાડશે. જેમાંથી 25 પહેલા, 50 15 ઓગસ્ટે "ડિલિવર કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં બાકીની 25 બસો પણ ઝડપથી રાજકોટના રસ્તા પર જોવા મળશે. તબક્કાવાર ડીઝલ બસોને રિપ્લેસ કરવાનું બીડું RMTSએ ઝડપ્યું છે.
આ ઈલેક્ટ્રિક બસમાં મીડિયમ સાઈઝ, AC તેમજ વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા છે. ઓફિસ ટાઈમમાં હાલ ચાલતી RMTSની 25 ઈલેક્ટ્રિક બસ ભરચક રહે છે. ખાસ કરીને માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડીના રુટ પર પેસેન્જર વધારે રહે છે. ત્યારે આરટીઓ પાસીંગ, વીમા સહિતની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે 15 ઓગસ્ટથી વધુ 50 ઈલેક્ટ્રિક બસો રાજકોટના રોડ પર દોડતી દેખાશે.હયાત રૈયા ચોકડી પાસે અને ભાવનગર રોડ અમૂલ સર્કલ પાસે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.