કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો અને વિપક્ષી દળો તરફથી થઇ રહેલા હુમલાઓ અને પ્રદર્શનો વચ્ચે NDAના સહયોગી પક્ષોએ બળવો શરૂ કર્યો છે. ત્યારે હવે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ NDA સાથે ગઠબંધન તોડવાનો મૂડ બનાવી લીધો છે. બેનીવાલે કહ્યું કે, મેં NDA છોડી દીધું છે પરંતુ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરું.
રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ NDA સાથે ફાડ્યો છેડો
નવા કૃષિ કાયદો પરત ન લેતાં RLPએ NDA સાથે તોડ્યો નાતો
અકાલીદળ બાદ વધુ એક પક્ષે NDAનો સાથ છોડ્યો
એક તરફ ભાજપ ખેડૂતોને સમજાવવામાં લાગી છે, તો બીજી તરફ રાષ્ટ્રિય લોકતાંત્રિક પાર્ટી(RLP)ના નેતા હનુમાન બેનીવાલે ખેડૂત આંદોલન વચ્ચે કહ્યું કે, શિવસેના અને અકાળી દળ પહેલા જ NDA છોડી ચૂક્યું છે અને RLPએ પણ NDA છોડવાનો નિર્ણય કરી લીધો છે.
NDAના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના રાષ્ટ્રીય સંયોજક હનુમાન બેનીવાલે આજે NDA છોડવાનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે, 'હું NDA છોડવાનું એલાન કરું છું.' જોકે તેમણે એમ પણ કહ્યું કે, મેં NDA છોડી દીધું છે પરંતુ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરું. RLP પહેલા કૃષિ કાયદાઓના વિરોધમાં અકાળી દળે પણ NDA છોડી ચૂકી છે.
આ પહેલા બેનીવાલે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકાર પાસે 303 સાંસદ છે જેના કારણે તેઓ કૃષિ કાયાદઓને પરત નથી લઇ રહી. 1,200 કિલીમીટર દૂર રાજસ્થાનના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. NDAમાં બન્યા રહેવા મામલે તેમણે કહ્યું કે, હરિયાણા બોર્ડરના શાહજહાંપુરમાં બેઠક બાદ NDAમાં રહેવું કે નહીં તેના પર નિર્ણય લેવામાં આવશે.
થોડા દિવસો પહેલા કૃષિ કાયદાઓના મુદ્દે શિરોમણી અકાળી દળ બાદ હવે NDAના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી(RLP)ના સંયોજક અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે એલાન કર્યું હતું કે, ખેડૂત આંદોલનના સમર્થનમાં 26 ડિસેમ્બરે તેમની પાર્ટી 2 લાખ ખેડૂતેને લઇને રાજસ્થાનથી દિલ્હી માર્ચ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, આ દિવસે જ નિર્ણય પણ લેવામાં આવશે કે NDAમાં રહેવું કે નહીં.