રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લખનઉમાં મુલાકાત કરી અને જણાવ્યું કે અમે એક સાથે મળીને ભાજપ વિરુધ્ધ ચૂંટણી લડીશું. અમારા માટે બેઠકોની વહેંચણી મુખ્ય મુદ્દો નથી પરંતુ સંબંધો મહત્વના છે.
જયંત ચૌધરીએ જણાવ્યું કે અખિલેશ યાદવ સાથે સારા માહોલમાં મુલાકાત યોજાઇ છે. રાષ્ટ્રીય લોકદળના નેતાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશમાં ભાજપ વિરુધ્ધ મહાગઠબંધન થાય.
આ મારી નહીં પરંતુ અમારી લડાઇ છે જે અમે ચોક્કસથી જીતીશું. ઉલ્લેખનીય છે કે સપા-બસપા વચ્ચે ગઠબંધનને લઇને 12મી જાન્યુઆરીએ જાહેરાત કરી દેવામાં આવી હતી. જેમાં બંને પાર્ટીઓ 38-38 લોકસભા બેઠકો પર યુપીમાં ચૂંટણી લડશે.
ત્યાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે બે બેઠક પર રાષ્ટ્રીય લોકદળ ચૂંટણી લડશે. જો કે રાલોદ પાંચ બેઠક પર પોતાની દાવેદારી રજૂ કરી રહી છે.
એક મળતાં અહેવાલ મુજબ રાષ્ટ્રીય લોકદળનો સપા-બસપા ગઠબંધનમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે સમાજવાદી પાર્ટી પોતાની પાર્ટીની 38 બેઠકોમાંથી રાષ્ટ્રીય લોકદળને બેઠકની વહેંચણી કરશે.
યુપીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેના ગઠબંધન બાદ અજિતસિંહ ચૌધરીની પાર્ટી (RLD) તેમાં જોડાશે કે નહીં તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. જેને લઇને આરએલડીના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી અને સપાના અધ્યક્ષ વચ્ચે મુલાકાત થઇ છે.
જો કે આ મુલાકાત બાદ બંને નેતામાંથી આરએલડીને કેટલી બેઠક મળશે તે અંગે કોઇ નિવેદન આપ્યું નથી. જો કે અટકળો મુજબ આ મુલાકાત બાદ આરએલડીને કેટલી બેઠકો આપવી તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.