સાબરમતી રિવરફ્રન્ટને સીસીટીવી સર્વેલન્સથી સજ્જ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટના વોક વે પર હાઇડેફિનેશનના તેમજ ફેસિયલ રેકિગ્નશન સિસ્ટમવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, પોલીસ રેકર્ડમાં નોંધાયેલા આરોપી કે ગુનેગાર પણ હવે સીસીટીવી કેમેરામાં ઝડપાશે તો પોલીસને ખબર પડી જશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર હજારોની સંખ્યામાં લોકો આવે છે અને રિવરફ્રન્ટ ગાર્ડન, ફ્લાવર્સપાર્કની મજા માણે છે, રિવરફ્રન્ટ પર આવતા લોકોની સુરક્ષાએ તંત્ર માટે એક મોટો સવાલ ઊભો થયો છે. રિવરફ્રન્ટ પર જાહેરમાં છેડતી થવી, અશ્લીલ ચેનચાળા કરવા, બીભત્સ હરકતો કરતાં કપલ અને રોિમયો તેમજ લુખ્ખાં તત્ત્વો એ હદે વધી ગયાં કે ફેમિલી સાથે જવાનું ઘણા લોકો ટાળે.
લોકો ચિંતામુક્ત હરી-ફરી શકે, અશ્લીલ હરકતો કરતાં કપલ પર રોક આવી શકે તેમજ અસામાજિક તત્ત્વો પર નજર રાખવા માટે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટ પૂર્વ અને પશ્ચિમના કિનારાને સીસીટીવી સર્વેલન્સથી આવરી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ એફઆરએસ (ફેસિયલ રેકગ્નિશન સિસ્ટમ)વાળા કેમેરા લગાવવા જઇ રહી છે, જે ગુનેગારો અને પોલીસ ચોપડે નોંધાયેલાં તત્ત્વોને ફેસ ડિટેક્ટ કરશે. કોઇ પણ ગુનાઇત કૃત્ય આચર્યું હોય તેવા ક્રિમિનલના રેકોર્ડ પોલીસ પાસે છે.
તેમના ફિંગર પ્રિન્ટથી લઇને ફેસ સુધીની એક-એક વિગતો પોલીસના ચોપડે નોંધાયેલી છે. આવી કોઇ પણ વ્યક્તિ જ્યારે રિવરફ્રન્ટની મુલાકાત લેશે ત્યારે એફઆરએસ કેમેરા તેનો ફેસ ડિટેક્ટ કરશે, જેની જાણ ગણતરીની મિનિટોમાં પોલીસને થઇ જશે.
રિવરફ્રન્ટ વોકવેમાં આવતા તમામ ગેટ અને રસ્તા પર એફઆરએસ કેમેરા લગાવવામાં આવશે. આ સિવાય રિવરફ્રન્ટ ગાર્ડન, ફ્લાવરપાર્ક અને બીજી તમામ જગ્યાઓ પર એફઆરએસ કેમેરા લાગશે તો બીજી તરફ નદીમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે.
જેને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્મહત્યાના બનાવો રોકવા માટે લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ પર જાળી લગાવી દેવામાં આવી છે. બ્રિજ પર જાળી લાગતાં હવે લોકો સાબરમતી રિવરફ્ર્ન્ટ વોક-વે પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરે છે.
આવા અનેક કિસ્સાના કારણે રિવરફ્રન્ટ દિવસે ને દિવસે ગુનાખોરીને લઇને ખતરનાક બનતો જાય છે તેવામાં સાબરમતી રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કયા સીસીટીવી કેમેરા લાગવવા તેનું નિરીક્ષણ પણ થઇ ગયું છે અને તેના પર સ્ટિકર પણ લગાવી દેવાયાં છે.
જ્યાં હાઇ ડેફિનેશનના કેમેરા લગાવવાના છે ત્યાં સીસીટીવી સર્વેલન્સનાં સ્ટિકર લગાવ્યાં છે ત્યારે જ્યાં એફઆરએસ કેમેરા લગાવવાના છે ત્યાં પણ તે સ્ટિકર ચોંટાડી દીધાં છે. આ મામલે નિર્ભયા પ્રોજેક્ટના મેમ્બર અને ઝોન-પના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું છે કે ગુનેગારો કે જે પોલીસ ચોપડે નોંધાયેલા છે તે જ્યારે રિવરફ્રન્ટ પર આવે છે.
ત્યારે તેમનો ફેસ ડિટેક્ટ થાય તે માટે એફઆરએસ કેમેરા લગાવવામાં આવશે. કેમેરાનું મોનિટરિંગ નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર ઓફિસથી કરવામાં આવશે. રિવરફ્રન્ટ પર બીભત્સ હરકતો કરતાં કપલને રોકવા માટે તેમજ છેડતી અને અશ્લીલ ચેનચાળા જેવી હરકતોને રોકવા અને લુખ્ખાં તત્ત્વો પર કંટ્રોલ કરવા માટે સમગ્ર રિવરફ્રન્ટના ખૂણા પર સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવશે.