અત્યાર સુધી આપણે એ વાત તો જાણતા જ હતા કે, જળવાયુ પરિવર્તનના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યાં છે. ઋતુઓનું ચક્ર પણ બદલાઈ રહ્યું છે અને સમસ્યાઓ સતત વધી રહી છે. હવે એક નવા અભ્યાસમાં સંશોધનકારોએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, જળવાયુ પરિવર્તનનાં કારણે વિશ્વભરની નદીઓનો આકાર પણ બદલાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડા વિસ્તારોની સંખ્યા પણ ઘટતી જાય છે.
નદીની શરૂઆતથી લઈ તેના અંત સુધીના માર્ગમાં આવેલા પરિવર્તનનો કરાયો અભ્યાસ
‘નેચર’ જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, સંશોધનકારોએ નદીઓ (Rivers) ના આકારમાં થઈ રહેલા ફેરફારની શોધ કરવા માટે નદીની શરૂઆતથી લઈને તેના અંત સુધીના માર્ગમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ કર્યો હતો. અધ્યયનનાં સહ-લેખિકા અને યુનિવર્સિટી ઑફ બ્રિસ્ટલમાં હાઇડ્રોલૉજિસ્ટ (જળવિજ્ઞાની) કેટરિના માઇકલાઇડ્સે જણાવ્યું હતું કે, કોન્ક્લેવનો આકાર બાઉલના અંદરના ભાગ જેવો જ હોય છે. તેમણે કહ્યું કે નદીઓના માર્ગનો અભ્યાસ કર્યા પછી જાણવા મળ્યું છે કે તેમની ‘લૉંગ પ્રૉફાઈલ' એક રેમ્પની જેમ નીચે ઉતરે છે અને ઘણી જગ્યાએ તેમનો આકાર આશ્ચર્યજનક રીતે બદલાયેલો દેખાય છે.
આ સમય દરમિયાન અમને જાણવા મળ્યું કે, જળવાયુ પરિવર્તન (Climate change) ના લીધે નદીઓની ‘લૉંગ પ્રૉફાઈલ' બદલાઈ ગઈ છે. હકીકતમાં જળવાયુ પરિવર્તનના કારણે ચોમાસું પણ પ્રભાવિત થયું છે. ક્યાંક દુષ્કાળ તો ક્યાંક ભારે વરસાદ જનજીવનને પ્રભાવિત કરે છે. અચાનક થતા ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવે છે અને નદીઓનો પ્રવાહ તોફાની હોવાથી તે તેની કાંઠાની જમીન અને માટીને ધોવાનું શરૂ કરી દે છે.
ઘણી જગ્યાએ આ ધોવાણ એટલું વધારે હોય છે કે નદીઓની સ્થળાકૃતિ જ બદલાય છે. માઇકલાઇડ્સે જણાવ્યું કે, જો આપણે ભારતની વાત કરીએ તો સિક્કિમ જેવા ભેજવાળા વિસ્તારોમાં વહેતી નદીઓની સ્થળાકૃતિ (ટોપોગ્રાફી) રાજસ્થાન જેવા અર્ધ-શુષ્ક પ્રદેશોની જેમ શુષ્ક બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, અર્ધ-શુષ્ક પ્રદેશમાં શુષ્ક પ્રદેશની નદીઓ વર્ષમાં મોટાભાગે સૂકી હોય છે અને જ્યારે વરસાદ પડે ત્યારે જ તેમાં પાણી વહે છે. આવું ફક્ત વર્ષમાં ત્રણથી ચાર વખત જ શક્ય છે.
આવી સ્થિતિમાં, લૉંગ પ્રૉફાઇલ અહીં સીધી હોવાની શક્યતા છે, જ્યારે ભેજવાળા વિસ્તારોમાં લૉંગ પ્રૉફાઇલ એક બાઉલની જેવી હોય છે. જો સમુદ્રનું જળસ્તર બે મીટર પણ વધી જાય, તો દુનિયાભરમાં સમુદ્રના ઘણા કાંઠા ડૂબી જશે. ઘણા ટાપુઓનું નામ-ઓ-નિશાન ભૂંસાઈ જશે. લાખો લોકોના રહેઠાણો તબાહ થઈ જશે. આવી સ્થિતિમાં, પૃથ્વીને ગરમ કરનારા ગ્રીનહાઉસ વાયુઓને ઘટાડવાની દિશામાં પગલા ભરવા જરૂરી છે.