રાસાયણિક દવાઓ, કીટનાશકો અને અન્ય કારણોથી દુનિયાભરની નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જે આપણી પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે.
રાસાયણિક દવાઓ, કીટનાશકોથી વધ્યું નદીઓનું પ્રદૂષણ
૧૦૪ દેશોની ૨૫૮ નદીઓ પર એક મોટું વૈજ્ઞાનિક રિસર્ચ કરાયું
ભારતની નદીઓમાં કેમિકલ સાથે જોડાયેલાં તત્ત્વોનું સ્તર વધું
માણસો દ્વારા ઉપયોગમાં લેવાયેલી રાસાયણિક દવાઓ, કીટનાશકો અને અન્ય કારણોથી દુનિયાભરની નદીઓમાં પ્રદૂષણ વધી રહ્યું છે, જે આપણી પરિસ્થિતિ અને લોકોના આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે. દુનિયાના તમામ મહાદ્વીપના ૧૦૪ દેશોની ૨૫૮ નદીઓ પર એક મોટું વૈજ્ઞાનિક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતની નદીઓમાં કેમિકલ સાથે જોડાયેલાં તત્ત્વોનું સ્તર વધુ મળી આવ્યું હતું.
દુનિયાભરના ૧૨૭ વૈજ્ઞાનિકો દ્વારા નદીઓમાં પ્રદૂષણ પર સૌથી મોટું સંશોધન
દુનિયાભરની ૮૬ સંસ્થાઓના ૧૨૭ વૈજ્ઞાનિકો દ્વારા નદીઓમાં પ્રદૂષણ પર અત્યાર સુધીનું આ સૌથી મોટું સંશોધન છે. ઇંગ્લેન્ડની યોર્ક યુનિવિર્સટીના સંશોધકો દ્વારા નદીઓમાં કેમિકલ પ્રદૂષણના સ્તરની જાણકારી મેળવવા માટે કરાયેલા સંશોધન સંબંધિત રિપોર્ટ અમેરિકાની પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસે પ્રકાશિત કર્યો છે. સંશોધકોએ દુનિયાભરમાં ૧૦૫૨ જગ્યાઓ પરથી પાણીના નમૂના એકઠા કર્યા, જેમાં તેમણે ૬૧ સક્રિય કેમિકલ્સના અંશોનું પરીક્ષણ કર્યું. રિપોર્ટ અનુસાર ૧૦૪ દેશોની નદીઓનાં ૧૯ ટકા સ્થાન એવાં હતાં, જ્યાં વૈજ્ઞાનિકોએ એિન્ટબાયોટિક્સનું સ્તર વધુ જાણ્યું. તેનાથી જીવાણુઓમાં રેજિસ્ટન્સ બનવાની આશંકા વધી ગઇ છે. નદીઓનાં પાંચમાંથી એક સ્થળ પર એિન્ટબાયોટિક્સની હાજરી ખતરનાક સ્તર પર મળી આવી હતી.
નદીઓમાં ડાયાબિટીસની દવા મેટફોર્મિન અને કેફીનની માત્રા વધુ
નદીઓમાં સૌથી વધુ દવા કાર્બમેઝપાઇન મળી આવી, કેમ કે આ દવા ઝડપથી તૂટતી નથી. આ ઉપરાંત નદીઓમાં ડાયાબિટીસની દવા મેટફોર્મિન અને કેફીનની માત્રા વધુ જોવા મળી હતી. નદીઓમાં આ ત્રણ દવાઓ અડધા કરતાં વધુ સંશોધન સ્થળો પર મળી આવી છે. મોટા ભાગનાં સંશોધન સ્થળો પર કોઇ ને કોઇ એક દવાનું કોઈ ને કોઈ તત્ત્વ મળી આવ્યું હતું. દવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તત્ત્વોને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડિયન્ટ્સ (એપીઆઇ) કહેવાય છે.
નદીમાં તમામ પ્રકારની દવાઓના એપીઆઇનું મિશ્રણ
આ અભ્યાસમાં કાર્બામાજેપાઇન, મેટફોર્મિન અને કેફીન જેવી ૬૧ દવાઓની ઉપસ્થિતિ માપવા માટે દવાઓનું આકલન કરવામાં આવ્યું. અભ્યાસ કરાયેલી આ નદીઓમાંથી ૩૬ દેશોની નદીઓ પર પહેલાં ક્યારેય પણ ફાર્માસ્યુટિકલ્સની દેખરેખ રાખવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના લાહોર, બોલિવિયાના લા પાજ અને ઇથિયોપિયાના આદિસ અબાબામાં નદીઓના જળસ્તરમાં એપીઆઇનું સ્તર વધુ જોવા મળ્યું છે. આ રીતે બ્રિટન, ગ્લાસગો, ડલાસમાં આ સ્તર ૨૦ ટકા છે. સ્પેનનું મેડ્રિડ મહત્ત્વનાં ૧૦ સ્થાનમાં સામેલ છે, જ્યાં નદીમાં તમામ પ્રકારની દવાઓના એપીઆઇનું મિશ્રણ સૌથી વધુ મળી આવ્યું છે.
આ 2 દેશ જે આધુનિક દવાઓનો નથી કરતા ઉપયોગ
સંશોધન અનુસાર આઇસલેન્ડ અને વેનેઝુએલામાં બે ગામ છે, જે આધુનિક દવાઓનો ઉપયોગ કરતાં નથી. ત્યાંના નમૂનાઓમાં કુલ સક્રિય દવાઓના અંશ કે ફાર્માસ્યુટિકલ્સ ઇન્ગ્રીડિયન્ટ્સની સરેરાશ સાંદ્રતા શૂન્ય મળી આવી હતી. ત્યાંની નદીઓ દવાઓથી પ્રદૂષિત નથી, જ્યારે લંડનમાં નદીઓમાં દવાઓની માત્રા ૩૦૮૦ નેનોગ્રામ પ્રતિલિટર, દિલ્હીમાં ૪૬,૭૦૦ અને લાહોરમાં સૌથી વધુ ૭૦,૭૦૦ સુધી મળી આવી હતી.
કેવી રીતે નદી સુધી પહોંચે છે દવાઓ
માણસો દ્વારા પ્રયોગ કરાયેલી દવાઓ ગંદકીના રૂપમાં સીધા સીવર દ્વારા અને દવા કંપનીઓમાં દવાઓના નિર્માણ દરમિયાન નીકળનારાં તત્ત્વો પણ સીધાં નદીઓના પાણીમાં ભળી જાય છે. આ જ કારણ છે કે દુનિયાભરની નદીઓનાં પાણીમાં દવાઓ સાથે જોડાયેલાં તત્ત્વોનું સ્તર વધતું જાય છે. નદીઓમાં દવાઓનું આ પ્રદૂષણ દવા નિર્માણ સંયંત્રોમાંથી નીકળતા દૂષિત જળ, શુષ્ક જળવાયુ, નદીના કિનારે જમા કચરો કરવામાં કે ડોપિંગ કરવાથી નદીઓમાં જાય છે.
જળીય જીવોના શરીર દ્વારા આ દવાની માત્રા લોકો સુધી પહોંચશે
કોઇ પણ દેશની સામાજિક અને આર્થિક સ્થિતિ અને તેની નદીઓમાં દવાઓની વધુ માત્રા વચ્ચે સીધો સંબંધ છે. ભારતના નમૂનાઓમાં કેફીન અને નિકોટીન જેવી ઉત્તેજક સહિત અન્ય દવાઓ ઉપરાંત એનાલ્જેસિક, એન્ટિબાયોટિક્સ, એન્ટિકોન્વેલસેન્ટ્સ, એન્ટિડિપ્રેસેન્ટ્સ, એન્ટિ-ડાયાબિટિક, એન્ટિએલર્જી દવાઓ અને બીટા બ્લોકર્સ નામની કાર્ડિયોવેસ્ક્યુલર દવાઓ મળી આવી હતી. આ પ્રકારના પ્રદૂષણથી માણસમાં થતા નુકસાનના હજુ સુધી કોઇ પુરાવા મળ્યા નથી, પરંતુ વૈજ્ઞાનિકોને ચિંતા છે કે જો ભોજન માટે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા જળીય જીવોના શરીર દ્વારા આ દવાની માત્રા લોકો સુધી પહોંચશે તો માણસો પર ચોક્કસ તેનો પ્રભાવ પડી શકે છે.