કોંગ્રેસ નેતા નયનાબાના આરોપો પર રિવાબાની પ્રતિક્રિયા સામે આવી છે, 'કોંગ્રેસને આક્ષેપો કરવા સિવાય કંઈ કરતા નથી આવડતું'
કોંગ્રેસ નેતા નયનાબાના આરોપો પર રિવાબાની પ્રતિક્રિયા
'કોંગ્રેસને આક્ષેપો કરવા સિવાય કંઈ કરતા નથી આવડતું'
'રાજકોટ મારી જન્મભૂમિ છે અને જામનગર મારી કર્મભૂમિ છે'
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. રાજ્યમાં છેલ્લા છ ટર્મથી ભાજપ સત્તા પર છે. ભાજપ પોચાનો ગઢ ગુમાવવાના માગતો નથી. તેથી પ્રચારથી લઈ તમામ તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે. આ વખતે ભાજપે કેટલાક નવા અને ભરોસા દાયક ચહેરોઓને મેદાને ઉતાર્યા છે. ભાજપે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને રાજકીય મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. જામનગરમાં જાડેજા પરિવાર સામસામે આવી ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા આજે ફરી રીવાબા પર આક્ષેપ કર્યા હતા જે બાબતે રિવાબાની પ્રતિક્રિયા સામે આવી છે.
નયનાબા ના આરોપો પર રિવાબાની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા નયનાબા ના આરોપો પર રિવાબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે. રિવાબા નયનાબાના ભાભી અને ભાજપના ઉમેદવાર છે. રિવાબાએ પ્રતિક્રિયામાં આપતા જણાવ્યું કે, કોણ છે નયનાબા ? તે મારા નણંદ તરીકે એવું ના બોલે. તેમણે કહ્યું કે, રાજકોટ મારી જન્મભૂમિ છે અને જામનગર મારી કર્મભૂમિ છે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસને આક્ષેપો કરવા સિવાય કંઈ કરતા નથી આવડતું તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચ દ્વારા મારુ ફોર્મ સ્વીકારવામાં આવ્યું છે તો હું લાયક ઉમેદવાર છું તેમણે કહ્યું કે, રહી વાત મારા નામની તો મારા કંઈક અંગત કારણો હોઈ શકે છે.
નયનાબાએ ભાભી રિવાબા જાડેજા સામે કર્યા હતા આક્ષેપો
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામસામે આવી ગયો હોય તેવું દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા આજે ફરી રીવાબા પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, રિવાબા વારંવાર કહે છે કે હું અહીંયા જ રહીશ. તમે જોઈ શકો છો રિવાબાનું ચૂંટણીકાર્ડ હજુ પણ રાજકોટ પશ્ચિમનું છે. રિવાબા અહીં પોતાનો મત આપી શકે તેમ નથી. અમારો પ્રશ્ન એજ છે કે જે ઉમેદવાર પોતાને મત નથી આપતા જનતા તમને કેમ મત આપે? તેઓએ આક્ષેપો કર્યા કે, રાજકોટના લોકોને રાજકોટના લોકલ પ્રશ્નો શું છે તેનો તેમને વધારે ખ્યાલ હોય, બાકી તો ફોરેન ટ્રીપમાં ફરતા હોય છે. લોકલને જ લોકોના પ્રશ્નો શું છે એ વધારે ખબર હોય.
કોણ છે રિવાબા જાડેજા?
રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેના પિતા બિઝનેસમેન છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.
હકુભાની જગ્યાએ રીવાબાને મળી ટિકિટ
જામનગર ઉત્તર બેઠક પરથી ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપવામાં આવી છે. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. જામનગર ઉત્તર 78 વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી જેનો હવે અંત આવ્યો છે.