વડોદરામાં દૂષિત પાણીના કારણએ રોગચાળો વક્યો છે. પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે સ્થાનિકોને પાણીજન્ય રોગની અસર થઇ છે. અત્યાર સુધી 5 લાખ લોકોને દૂષિત પાણીનું વિતરણ કરાયું છે. ત્યારે રોગચાળો વકરતા કારેલીબાગ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા છે. જોઇએ સમગ્ર અહેવાલ.
વડોદરાના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકોને છેલ્લા છ માસથી દૂષિત પાણીનું કોર્પોરેશન ધ્વારા વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. કોર્પોરેશને નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ અને સમારકામ કરી લોકોને સ્વચ્છ પાણી મળશે તેવો દાવો કર્યો છે, ત્યારે હકીકતમાં હવે શું લોકોને સ્વચ્છ પાણી મળે છે? તેની રીયાલીટી વિટીવીની ટીમે ચેક કરી.
વાઘોડીયા રોડ, આજવા રોડ, તરસાલી, માંજલપુર સહિત પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકો પાણી વેરો ભર્યા બાદ પણ દૂષિત અને દુર્ગધ પાણી પીવા માટે મજબુર છે. કોર્પોરેશને દૂષિત પાણીના નિરાકરણ માટે નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ અને સમારકામ કરાવ્યું. તેમજ લોકોને સ્વચ્છ પાણી મળશે તેવો દાવો કર્યો, પરંતુ વાઘોડીયા રોડ પર આવેલ ભાથુજી નગર, મોતી નગર, ભવાનીકુંજ સહિત અનેક સોસાયટીમાં હજી પણ દૂષિત પાણીનું જ વિતરણ થઈ રહ્યું છે. પીળા કલરનું જીવાંત વાળુ દુર્ગધ મારતુ દૂષિત પાણી લોકો માટે કોઈ જ ઉપયોગી નથી થઈ રહ્યું. લોકો દૂષિત પાણી પી નથી શકતા કે, તેનાથી કપડાં કે વાસણ પણ નથી ધોઈ શકતા. રોજ 20 રૂપિયા ખર્ચી સ્વચ્છ પાણીનો જગ મંગાવવા લોકો મજબુર થયા છે.
કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કરાવ્યા બાદ ચોખ્ખુ પાણી વિતણ થઈ રહ્યું હોવાનુ કહે છે, પરંતુ કોગ્રેસ કોર્પોરેટર હેમાંગીની કોલેકર કહે છે કે શાસકો અને અધિકારીઓ વિસ્તારમાં લોકોની વચ્ચે ફરે ત્યારે તેમને હકીકતની ખબર પડે. હજી પણ લોકોને દૂષિત પાણી જ મળે છે જેથી પાલિકાએ વેરો માફ કરવો જોઈએ.
મહત્વની વાત છે કે દૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે શાસકોને કોઈ જ ચિંતા નથી. ત્યારે તગડો પાણી વેરો લેનાર કોર્પોરેશન તંત્ર કયારે ચોખ્ખુ પાણી આપશે તે સવાલ લોકો પુછી રહ્યા છે.