ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી અને ઋષિ સુનક વચ્ચે સંભવિત રીતે ઇન્ડોનેશિયામાં યોજાનારી G20 સમિટમાં મુલાકાત થઈ શકે
બ્રિટનની સત્તા હવે ભારતીય મૂળના 'ઋષિ સુનક'ના હાથમાં
તુંક સમયમાં વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકની મુલાકાત થઈ શકે
બંને નેતાઓ 15-16 નવેમ્બરે ઇન્ડોનેશિયામાં યોજાનારી G20 સમિટ માટે બાલીમાં હશે
બ્રિટનની સત્તા હવે ભારતીય મૂળના 'ઋષિ સુનક'ના હાથમાં છે. ઋષિ સુનકના વડાપ્રધાન પદ પર પહોંચ્યા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મોટા નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. હવે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ટૂંક સમયમાં જ વડાપ્રધાન મોદી અને ઋષિ સુનકની મુલાકાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને નેતાઓ 15-16 નવેમ્બરે ઇન્ડોનેશિયામાં યોજાનારી G20 સમિટ માટે બાલીમાં હશે, જ્યાં તેઓ મળી શકે છે.
જો બધું બરાબર રહ્યું તો બ્રિટનના નવા વડા પ્રધાન તરીકેની જવાબદારી સંભાળનાર ભારતીય મૂળના ઋષિ સુનક આવતા મહિને બાલીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની પ્રથમ મુલાકાત કરશે. જોકે આ દરમિયાન મોદી અને સુનકની દ્વિપક્ષીય બેઠક અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના સંમેલન દરમિયાન બંને નેતાઓ સાથે હશે અને ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
એવું માનવામાં આવે છે કે, સુનક અને મોદીની સંભવિત મુલાકાતથી ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતીની કવાયત પણ વેગ પકડી શકે છે. અગાઉ આ કરાર માટે દિવાળી-2022નો સમયગાળો રાખવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો પીએમ મોદી આ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે લંડન પણ જઈ શકે છે. આ સંદર્ભે કવાયતનો પ્રારંભિક તબક્કો પણ શરૂ થઈ ગયો છે.
શું કહ્યું ઋષિ સુનકે ?
વ્યવસાયે બેંકર સુનકે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું કે, તેમણે એવા સમયે પદ સંભાળ્યું જ્યારે બ્રિટન "ગંભીર આર્થિક સંકટ"નો સામનો કરી રહ્યું છે. તેણે આ માટે કોવિડ રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધને જવાબદાર ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે આ પડકારોનો સામનો કરી શકશે.
આ સાથે સુનકે તેમની પહેલા પીએમ પદ સંભાળી રહેલા લિઝ ટ્રસ વિશે કહ્યું, 'હું પરિવર્તન લાવવામાં તેમની અસ્વસ્થતાની પ્રશંસા કરું છું. પરંતુ કેટલીક ભૂલો થઈ. તે ભૂલો કોઈ દ્વેષ કે ખોટા ઈરાદાને કારણે ન હતી. પરંતુ તેમ છતાં ભૂલો થઈ હતી. મહિનાઓના રાજકીય અને આર્થિક અશાંતિ પછી બ્રિટનમાં સ્થિરતા પર ભાર મૂકતા સુનકે કહ્યું કે. તેઓ તેમના પુરોગામી લિઝ ટ્રસ દ્વારા કરવામાં આવેલી "ભૂલો સુધારવા" માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા અને વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તેમણે કહ્યું, 'હું મારા દેશને શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી એક કરીશ. હું તમારા માટે દિવસ રાત કામ કરીશ. સાથે મળીને આપણે અવિશ્વસનીય વસ્તુઓ હાંસલ કરી શકીએ છીએ.