બોલિવૂડના સદાબહાર અભિનેતા ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અચાનક નિધનથી સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતા. 1 વર્ષ સુધી અમેરિકામાં ઈલાજ કરાવ્યા બાદ તેઓ ભારત પાછાં આવ્યા હતા પરંતુ તેમ છતાં તેઓ આ બીમારી સામે હારી ગયા. પણ તેઓ જાણતા હતા કે તેઓ કદાચ લાંબુ જીવી શકશે નહીં, એટલે તેમણે તેમની ઈચ્છાઓ પણ જાહેર કરી દીધી હતી.
ઋષિ કપૂરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં સરી પડી
ત્યારે ઋષિએ પહેલાં જ જણાવી દીધી હતી તેની ઈચ્છાઓ
જોકે, દિકરો રણબીર પિતાની આ ઈચ્છા પૂરી ન કરી શક્યો
થોડાં સમય પહેલાં જ ઋષિ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં દિકરા રણબીરના લગ્નની ઈચ્છા જાહેર કરી હતી. તેમને જ્યારે ઈન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટ અને રણબીરના રિલેશન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ વાત તો બધાં જ જાણે છે અને તેમાં કંઈ જ કન્ફર્મ કરવાની જરૂર નથી.
તેમણે ઈન્ટરવ્યૂમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ મોત પહેલાં દિકરા રણબીરના લગ્ન જોવા માંગુ છું. મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર 27 વર્ષની હતી અને રણબીરની ઉંમર 35 વર્ષ થઈ ગઈ છે. રણબીર પોતાને ગમતી છોકરી સાથે લગ્ન કરી શકે છે અને મને કોઈ વાંધો નથી. રણબીર જ્યારે લગ્ન કરવા માટે તૈયાર થશે ત્યારે મને ખુશી થશે કારણ કે તેની ખુશીમાં જ મારી ખુશી છે.
ઋષિ કપૂરે તે ઈન્ટરવ્યૂમાં તેમ પણ કહ્યું હતું કે, તેઓ રણબીરના સંતાનોને એટલે કે પૌત્ર-પૌત્રીને રમાડવા માંગે છે. તેમણે કહ્યું કે, રણબીર અને તેની ઉંમરના એક્ટર્સ માત્ર કરિયર પર જ ધ્યાન આપી રહ્યાં છે. જેથી તે ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસિસને જ મળી શકે છે. ઋષિ કપૂર આ વાતથી સ્પષ્ટ કહેવા માગતા હતા કે, તેમને અંદાજ છે કે રણબીર આલિયા સાથે જ લગ્ન કરશે. જો કે, તેમની આ ઈચ્છા પૂરી થઈ નહીં અને તેઓ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા.