બોલિવૂડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરના અવસાનથી સમગ્ર ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ શોકની લહેર છે. ખાસ કરીને પાકિસ્તાન સાથે ઋષિ કપૂરનો જૂનો સંબંધ રહ્યો છે. કપૂર ખાનદાનના મૂળિયા પાકિસ્તાનમાં પણ રહ્યાં છે અને ઋષિને પણ પાકિસ્તાન પ્રત્યે લાગણી હતી.પાકિસ્તાનના પેશાવરમાં કપૂર હવેલી છે જ્યાં ઋષિના પિતા રાજ કપૂરનો જન્મ થયો હતો. આ હવેલીને 2018માં મ્યૂઝિયમ બનાવી દેવાઈ હતી. ઋષિએ એકવાર ટ્વીટ પણ કર્યું હતું કે, તેઓ મૃત્યુ પહેલાં એક વખત પાકિસ્તાન જવા ઈચ્છે છે.
2016માં ઋષિ કપૂરે એક જૂની તસવીર શેર કરી હતી. જેમાં તે પેશાવર હવેલીમાં ઊભેલા દેખાઈ રહ્યાં છે. તેમણે લખ્યું હતું કે, કોઈએ આ તસવીર મોકલી હતી. તસવીરમાં રણબીર અને હું પેશાવરમાં કપૂર હવેલીની બહાર દેખાઈ રહ્યાં છીએ. જેવું તસવીરમાં જોઈ શકાય છે કે, અમારું ખૂબ જ સારું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2017માં તેમણે એક ટ્વીટમાં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, હું 65 વર્ષનો છું અને મર્યા પહેલા એકવાર પાકિસ્તાન જવા માંગુ છું. હું ઈચ્છું છું કે, મારા બાળકો પોતાના મૂળ જુએ. જય માતા દી.
પાકિસ્તાનની સરકારે નિર્ણય કર્યો હતો કે, ઋષિ કપૂરના પૈતૃક ઘરને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવશે. પેશાવરના કીસા ખ્વાની બજારમાં આ ઘર છે અને તેને મ્યુઝિયમ બનાવવાની અપીલ ઋષિ કપૂરે જ કરી હતી. કપૂર હવેલીને બશેશ્વરનાથ કપૂરે બનાવી હતી. જે ઋષિના દાદા પૃથ્વીરાજ કપૂરના પિતા હતા. પૃથ્વીરાજ કપૂરના દિકરા રાજ કપૂરનો જન્મ પણ 14 ડિસેમ્બર 1924ના રોજ પેશાવરમાં થયો હતો. 1947માં ભાગલાં બાદ કપૂર ખાનદાન પેશાવરથી ભારત આવી ગયું હતું.
સિનેમાની દુનિયાના બેનમૂન એક્ટર ઋષિ કપૂર હવે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. ગઈકાલે ઈરફાન અને આજે ઋષિજીના જવાથી બોલિવૂડની સાથે સાથે આખો દેશ શોકમાં છે. દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. જેથી અમુક લોકો જ તેમના અંતિમ દર્શન કરી શક્યા. ઋષિની દીકરીરિદ્ધિમા અને તેનો પરિવાર પણ ઋષિના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં. આનાથી મોટી દુઃખની વાત એક દીકરી માટે શું હોઈ શકે.