એકબાજુ 150 કરોડની ફિલ્મ બનાવનારા રોહિત શેટ્ટીની સર્કસનુ બૉક્સ ઑફિસ પર કંગાળ પ્રદર્શન છે, જ્યારે 20 કરોડની કાંતારા બનાવીને વિશ્વભરમાં ધૂમ મચાવનારા રિષભ શેટ્ટી અત્યારે અમેરિકામાં છે. નિર્માતા ફિલ્મને ઑસ્કરમાં મોકલવાની તૈયારીમાં છે. જેની સિક્વલની માંગ ઉઠી રહી છે.
ફિલ્મ 'કાંતારા'ની સિક્વલ બનશે કે પ્રીક્વલ?
નિર્માતા ફિલ્મને ઑસ્કરમાં મોકલવાની તૈયારીમાં
કાંતારાના પ્રોડ્યુસરે આપ્યો રસપ્રદ જવાબ
કાંતારાના પ્રોડ્યુસરે ફિલ્મની સિક્વલ અંગે આપ્યો રોચક જવાબ
આ વર્ષની સૌથી મોટી સરપ્રાઈજ હિટ કાંતારાને લઇને જે સૌથી મોટો સવાલ લાંબા સમયથી ચર્ચામાં છે, તે એ છે કે શું આ ફિલ્મની સિક્વલ બનશે. આ કન્નડ બમ્પર હિટ ફિલ્મને પસંદ કરનારા હવે કાંતારાની આગળની કહાની જોવા માંગે છે. જો કે, ચર્ચા એવી પણ છે કે ફિલ્મની સિક્વલ બનાવવાના બદલે નિર્માતા પ્રીક્વલ એટલેકે બેકસ્ટોરી બનાવી શકે છે. નિર્દેશક રિષભ શેટ્ટીને થોડા સમય પહેલા જ્યારે પૂછવામાં આવ્યું હતુ કે શું તેમના મગજમાં કાંતારાની સિક્વલની યોજના છે તો તેમણે કહ્યું હતુ કે એક વખત કાંતારા ઓટીટી પર પહોંચી જાય અને તેઓ બે મહિનાની રજા મનાવી લે. ત્યારબાદ જવાબ આપશે. પરંતુ આ દરમ્યાન કાંતારાના પ્રોડ્યુસર તરફથી ફિલ્મની સિક્વલ સાથે જોડાયેલા સવાલ પર રોચક જવાબ આવ્યો છે.
કાંતારાના પ્રોડ્યુસર હોમબલ પ્રોડક્શન્સના વિજય કિરાગંડૂરે કહ્યું છે કે નિશ્ચિત રીતે કાંતારાને લઇને અમુક વાત ચાલી રહી છે, જે આગામી એક-બે મહિનામાં સ્પષ્ટ થઇ જશે. હકીકતમાં રિષભ શેટ્ટી અત્યારે અમેરિકામાં છે અને કાંતારાને ઑસ્કરની રેસમાં સામેલ કરવાની કોશિશ થઇ રહી છે. 24 જાન્યુઆરીએ ઑસ્કરના ફાઈનલ નોમિનેશન જાહેર થશે, જ્યારે 12 થી 17 જાન્યુઆરી સુધી વોટિંગ ચાલશે. કાંતારાએ આ વર્ષે સૌથી વધુ જોવાયેલી અને સૌથી વધુ આવક ઉભી કરનારી કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2નો રેકોર્ડ તોડ્યો છે. જેની આખી દુનિયામાં સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી નિર્માતા ઑસ્કરમાં પોતાનુ નસીબ અજમાવવા માંગે છે. હાલમાં ઑસ્કરની રેસમાં એસએસ રાજામૌલીની આરઆરઆર અને ભારતની સત્તાવાર એન્ટ્રી છેલ્લો શો જ છે. કાંતારાના નિર્માતાએ પુષ્ટિ કરી છે કે તેઓ પોતાની ફિલ્મને ઑસ્કરની રેસમાં ઉતારી રહ્યાં છે.