ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાને ઋષભ પંત પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તેનાથી વિપરીત ઋષભ પંતે ફરી એકવાર બધાંને નિરાશ કર્યા છે. ઋષભ પંત અજિંક્ય રહાણેનો સપોર્ટ કરી શક્યો નહીં અને 19 રન બનાવીને રનઆઉટ થઈ ગયો હતો. જોકે, ઉપકેપ્ટન અજિંક્ય રહાણેની ગેરસમજને લીધે ઋષભ પંત રનઆઉટ થયો હતો.
મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે ઋષભ પંત
તેની પસંદગી પર ઉઠી રહ્યાં છે સવાલ
વિરાટ કોહલીનો નિર્ણય પડ્યો ખોટો
બીજા દિવસની ચોથી ઓવરમાં એજાઝ પટેલના એક બોલ પર રહાણેએ પંતને અવાજ આપ્યો, પરંતુ પંત રન કરવામાં ખચકાઈ રહ્યો હતો. જોકે, આખરે પંત દોડી ગયો, ત્યારબાદ એજાઝ પટેલે ઝડપથી વિકેટકીપર બીજે વૉટલિંગ તરફ બોલ ફેંક્યો, જે સીધો સ્ટમ્પ પર લાગ્યો, પંત ક્રીઝથી ઘણો પાછળ હતો અને તે રનઆઉટ થઈ ગયો.
પેવેલિયન પરત ફરતી વખતે પંતે નિરાશાજનક દ્રષ્ટિએ રહાણે તરફ જોયું. ભારતનો સ્કોર સાત વિકેટે 132 રન હતો, ત્યારબાદ રહાણેએ ચોગ્ગો ફટકાર્યો હતો. સાઉદીએ રહાણેને પેવેલિયન મોકલી ભારતને સન્માનજનક સ્કોર બનાવવાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. સુકાની વિરાટ કોહલીએ ઋદ્ધિમાન સાહાની જગ્યાએ ઋષભ પંતને પ્લેઈંગ ઇલેવનમાં વિકેટકીપર તરીકે સ્થાન આપ્યું હતું, પરંતુ તેનો આ નિર્ણય ખોટો પડ્યો અને હવે ઋષભ પંતની પસંદગી અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
ઋષભ પંતના આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયાનો નીચલો ક્રમ પણ વિખેરાઇ ગયો અને ભારતીય ઇનિંગ્સ 165 રનમાં સમેટાઈે ગઈ હતી. ટેસ્ટ સીરિઝ પહેલાં ન્યૂઝીલેન્ડ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચની બીજી ઇનિંગ્સમાં ઋષભ પંતે 65 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 70 રન રમીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવાનો દાવો કર્યો હતો, પરંતુ ઋષભ પંત પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. અગાઉ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છેલ્લા ઘણાં મેચોમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનનો ભાગ બની શક્યો નહોતો.
પંતને ઘણી મેચ બાદ ફરી તક મળી હતી, પરંતુ તે આનો લાભ લઈ શક્યો નહીં. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 સીરિઝ અને ત્યારબાદ ત્રણ મેચની વનડે સીરિઝમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનમાં પણ પંતનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. તેને બેંચ પર જ બેસવું પડ્યું હતું. જ્યારે વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલે વનડે અને ટી-20 ક્રિકેટમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું.