વિકેટકીપર રિષભ પંત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે. હવે પંતને લઈને હેલ્થ અપડેટ પણ સામે આવી ગયું છે. આ મુજબ આ સ્ટાર ક્રિકેટરની તબિયતમાં ઘણો સુધારો થયો છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ ડોક્ટરો સાથે વાત કરી છે. રોહિત હાલમાં માલદીવમાં નવું વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે.
હજુ પણ રિષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ICUમાં
રિષભ પંતને લઈને હેલ્થ અપડેટ પણ આવ્યું સામે
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ ડોક્ટરો સાથે કરી વાત
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં દાખલ છે. 25 વર્ષીય રિષભ પંતની મર્સિડીઝ કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઋષભ પંતને માથા, પીઠ અને પગમાં ઘણી ઈજા થઈ હતી. દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિષભ પંતની માતા સરોજ પંત અને લંડનથી આવેલ બહેન સાક્ષી પણ તેમની સાથે છે. હવે રિષભ પંતને લઈને લેટેસ્ટ હેલ્થ અપડેટ સામે આવ્યું છે.
રોહિત શર્માએ ડોક્ટર્સની સાથે કરી વાત
અપડેટ મુજબ, રિષભ પંતની હાલતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે અને તેમને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા અંગે ડોક્ટર્સ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, તેઓ હજુ પણ ICUમાં છે. રિષભ પંતના પારિવારિક મિત્રોએ હોસ્પિટલમાં તેમની સાથે મુલાકાત કર્યા બાદ આ વાત કહી છે. તો એક રિપોર્ટ મુજબ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ હાલમાં રિષભ પંતની સારવાર કરી રહેલા ડૉક્ટરોની સાથે વાતચીત કરી છે. રોહિત શર્મા હાલમાં નવા વર્ષની ઉજવણી કરવા માલદીવ ગયા છે.
રિષભ પંતનું પ્રથમ ડ્રેસિંગ થયું
પરિવાર સાથે સતત હોસ્પિટલમાં રહેતા ઉમેશ કુમારે મીડિયાને કહ્યું કે, 'હાલમાં તેમને અન્ય કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કોઈ યોજના નથી. ગઈકાલથી તેમની તબિયતમાં ઘણો સુધારો થયો છે. શુક્રવારે જ તેમના માથાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. પ્રથમ ડ્રેસિંગ શનિવારે કરવામાં આવ્યું છે. બીસીસીઆઈના ડોક્ટરો મેક્સ હોસ્પિટલના ડોક્ટરોના સતત સંપર્કમાં છે અને તેઓ નક્કી કરશે કે તેમને અન્યત્ર ખસેડવાની જરૂર છે કે નહીં.'
BCCI રાખી રહ્યું છે પંતના સ્વાસ્થ્ય પર નજર
શનિવારે દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર શ્યામ શર્મા, બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને અનુપમ ખેર પણ મેક્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્યામ શર્માએ પત્રકારોને કહ્યું હતું કે, 'અહીંના ડોક્ટરો દ્વારા પંતની સારી સંભાળ રાખવામાં આવી રહી છે. બીસીસીઆઈ પણ તેમના સંપર્કમાં છે. હાલ તેઓને અહીં રાખવામાં આવશે.'