નવસારીઃ રીંગરોડએ શહેરની વિકાસની ગતિને વેગ આપવા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે. પરંતુ પાલિકાના શાસકો અને વહીવટતંત્રની ઉદાસીનતાના કારણે રીંગરોડને રાજકીય અખાડો બનાવી 6 વર્ષથી કામ ખોરંભે પાડી દેવામાં આવ્યુ છે. જેના કારણે નવસારીનો વિકાસ રુંઘાઈ રહ્યો છે. નવસારી શહેર જુનુ હોવાના કારણે સાંકડા રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યાથી પીડાઈ રહ્યુ છે. જેના કારણે શહેરનો વિકાસ રુંધાઈ રહ્યો છે.
નવસારીના વિકાસની ગતિ આગળ વધારવા માટે રાજ્ય સરકારે 9 કરોડ જેટલી મોટી ગ્રાન્ટ આપી રીંગ બનાવવાની યોજના ભેટ આપી છે. પરંતુ પાલિકાના શાસકો અને વહીવટીતંત્ર દ્વારા રીંગ રોડએ શહેરની મહત્વની જરુરિયાત હોવા છતાં પ્રાધાન્ય આપવામાં આવ્યુ નથી. પાંચ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં માત્ર 800 મીટર જેટલો જ અધુરો રસ્તો બન્યો છે. આ મામલે વિપક્ષ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
નવસારી શહેર ફરતે રીંગ રોડ બનાવવા તમામ ભંડોળ આપીને રાજ્ય સરકારે કામ પુર્ણ કરવા તાકીદ કરી છે. 3 સ્ટેપમાં કામ પુર્ણ કરવાનુ છે જ્યારે 5 વર્ષ વીતવા છતા ડીમોલીશનની કામગીરી પણ કરવામાં આવી નથી. ડીમોલીશન કર્યુ છે તો વળતર ચુકવાયુ નથી. શાસકો 6 વર્ષથી કામ પ્રગતિમાં હોવાનો રાગ આલાપી રહ્યાં છે. તો બીજીબાજુ સ્થાનિકોને એક છેડેથી બીજે છેડે જવા માટે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો છે.
તો બીજી બાજુ ધારાસભ્ય રીગરોડ બાબતે માત્ર મોટી મોટી વાતો કરી કોણીએ ગોળ લગાડી રહ્યાં છે. કામ જલ્દી પુરું થઈ જવાના દાવાઓ કરી રહ્યાં છે. પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની અવશચંડાઇના કારણે રીંગ રોડનુ કામ ખોરંભે પડતા શહેરનો વિકાસ રુંધાયો છે અને ટ્રાફિકની સમસ્યા વણસી રહી છે.