ગરીબ બાળકોના ક્વોટા પર પૈસાદાર વાલીઓના ખોટા એડમિશન
વાર્ષિક આવક રિટર્ન 5થી 50 લાખ ભરનારા પણ ચોપડે છે ગરીબ
VTVના સ્ટિંગ ઓપરેશનમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. VTVએ અમદાવાદની શાળાઓમાં RTE અંતર્ગત ખોટા એડમિશન મેળવ્યા મામલે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં VTVની ટીમે અનેક બોગસ એડમિશનની પોલ ખોલી દીધી છે. આ સ્ટિંગ ઓપરેશનમાં 'ભણતરમાં કોઈ ભાગ હોતો નથી' તે કહેવત ખોટી સાબિત થઈ છે.
કેવી રીતે થયો ખુલાસો?
અમારી ટીમે અને અલગ અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી.તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી..
આવકના દાખલા મિલીભગતને કારણે બેફામ અપાયા?
સ્ટિંગ ઓપરેશનમાં સામે આવ્યું છે કે, પૈસાદાર વાલીઓ RTEમાં એડમિશન મેળવવા ખોટા દસ્તાવેજો ઊભા કરી લેતા. અમદાવાદમાં અલગ-અલગ શાળાના સર્ચમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પૈસાદાર વાલીઓ પોતાને ગરીબ બતાવીને RTE અંતર્ગત ખોટા એડમિશન લઇ લે છે. સ્ટિંગ ઓપરેશનમાં ગરીબ બાળકોના ક્વોટા પર પૈસાદાર વાલીઓના ખોટા એડમિશન થયા હોવાનું સામે આવ્યું. જો કે, અહીં પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, શું આ આવકના દાખલા કોઇની મિલીભગતના કારણે બેફામ રીતે અપાઇ રહ્યાં છે? આખરે કોણ છે આ કૌભાંડ પાછળનો મુખ્ય સૂત્રધાર?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2022
અમીર વાલીઓની 'ગરીબ' આવક એકસરખી
RTE અંતર્ગત એડમિશન મેળવવા માટે વાલીઓ પોતાના મકાન હોવા છતાં દોઢ લાખની આવક બતાવી રહ્યાં છે. તો સામે અધિકારીઓ પણ સામાન્ય લાલચ માટે થઇને ગરીબનું ભણતર છીનવી રહ્યાં છે. 10થી 15 ટકા વાલીઓ એવાં છે કે જેઓએ ગેરકાયદે રીતે એડમિશન લીધા છે. વાર્ષિક આવક રિટર્ન 5થી 50 લાખ ભરનારા પણ ચોપડે ગરીબ દેખાય છે.
DEOની કામગીરી પર સૌથી મોટો સવાલ
આ ખોટા એડમિશનમાં સૌથી પહેલો કિસ્સો કમલેશ પંડ્યા નામના વાલીનો સામે આવ્યો છે. કમલેશભાઈએ દોઢ લાખની આવક બતાવી ખોટી રીતે પોતાના બાળકનો પ્રવેશ મેળવ્યો છે.
બીજા કિસ્સામાં દુષ્યંત સોનારા, હરિશ સુકવાલિયાએ પણ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો છે. હરિશ અને દુષ્યંતે પણ ખોટા દસ્તાવેજ રજૂ કરીને પોતાના બાળકનું એડમિશન કર્યું છે. RTE એડમિશન હેઠળ પૈસાદાર વાલીઓના વિદ્યાર્થીઓના પ્રવેશ પર સૌથી મોટો સવાલ DEOની કામગીરી પર ઊભો થાય છે. કે શું આ કૌભાંડ પાછળ તેઓને કોઇ જાણ જ ન હોતી કે પછી તેઓએ આંખ આડા કાન કરી દીધા છે?
આ સાથે અંશારી ચાંદબાબુ, ઐયાશ અહેમદ કાઝી પણ આ લિસ્ટમાં સામેલ થયા છે.આ લોકોએ ખોટા પુરાવાઓ રજૂ કરીને ગરીબ બાળકની જગ્યાએ પોતાના બાળકનું એડમિશન લઇ લીધું છે. ત્યારે આ કૌભાંડને લઇને અધિકારીઓ તેમજ આ પ્રકારના વાલીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓની પર કાયદેસરના પગલાં લેવામાં આવે. આ ઘટનામાં VTV અપીલ કરી રહ્યું છે કે, ગરીબોના શિક્ષણનો હક અમીરો ન પડાવે.