સામાન્ય રીતે આપણે મોટા માણસોને કરોડપતિ થતા જોયા છે પણ ક્યારેય એવું સાંભળ્યું છે કે શ્વાન પણ કરોડપતિ હોય. આજે અમે એવાજ એક ગામની વાત કરીશું જેમાં શ્વાન કરોડપતિ છે.
કુશ્કલ ગામના શ્વાન છે શ્રીમંત
શ્વાન ધરાવે છે કરોડોની 20 વીઘા જમીન
ગામલોકોએ શ્વાન માટે કરી છે ખાસ વ્યવસ્થા
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાનું કુશ્કલ ગામ. જેમાં સૌથી વધારે ચૌધરી સમાજના લોકો વસવાટ કરે છે. તે સિવાય ઠાકોર સમાજ, દેસાઈ સમાજ, દલિત સમાજ અને લિંબચિય સમાજ સહિતના લોકો વસવાટ કરે છે. આ ગામમાં આશરે 600 જેટલા મકાનો આવેલા છે અને આશરે 7000 જેટલા વસ્તી ધરાવે છે. આ ગામ પૈસા ટકે આમ તો સુખી ગામ છે. અહીંના લોકો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે. પરંતુ મજાની અને માન્યામાં ન આવે તેવી વાત એ છે કે આ ગામના શ્વાન પણ શ્રીમંત છે. એવું કહેવાય છે કે આ ગામમાં શ્વાન પણ કરોડપતિ છે કારણ કે આ ગામમાં શ્વાન માટે 20 વીઘા જેટલી જમીન છે, જેનો ભાવ આજની કિંમત પ્રમાણે 5 કરોડોમાં આંકી શકાય છે. તે જમીન અહીંના રખડતા શ્વાન માટે ગામ લોકોએ રાખી મૂકી છે.
રાજાઓ સમયે ગામને ખેતી કરવા માટે મળી હતી જમીન
વર્ષો પહેલા નવાબો જ્યારે રાજ કરતા હતા ત્યારે નવાબોએ પાઘડી તરીકે જમીન અહીં ગામ લોકોને ખેતી કરવા માટે આપી હતી. આ ગામ પહેલેથી જ દયા ભાવના અને ધર્મમાં માનનારું ગામ હોવાના કારણે ગામના વડવાઓને વિચાર આવ્યો હતો કે આપણે તો ગમે ત્યાંથી મહેનત કરીને પેટ ભરી લઈએ પણ આ રખડતા શ્વાન અને રખડતા પશુઓ માટેનું શું. ત્યારે તે સમયમાં બધા ગામ લોકોએ એકઠા થઈને નક્કી કર્યું કે આપણે અહીંના શ્વાનો માટે કંઈક કરવું પડશે. ત્યારે નવાબોએ જે જમીન આપી હતી તે જમીન તેમની વાવેતર કરવાના બદલે ગામની વચોવચ 20 વીઘા જેટલી જમીન શ્વાન હસ્તક કરી દીધી.
ગામના શ્વાન હાલ 5 કરોડની જમીન ધરાવે છે
વર્ષોથી આ જમીન અહીં ગામની વચ્ચોવચ અને રોડની અડીને આવેલી છે. આ જમીનની કિંમત હાલ પણ એક વીઘાના 25 લાખ આસપાસ બોલી બોલાઈ રહી છે, એટલે કે આ 20 વીઘા જમીનની કિંમત 5 કરોડની આસપાસ થાય છે. આ ગામમાં જે જમીન શ્વાન માટે રાખવામાં આવે છે તે જમીનમાં ચોમાસા દરમિયાન અથવા તો આજુબાજુના ખેતરમાંથી પાણી લઈને તેમાં પાક ઉગાડવામાં આવે છે અને એ પાકમાંથી જે પણ પણ ઉપજ મળે છે તે ઉપજના પૈસા શ્વાન માટે મૂકી રાખવામાં આવે છે. ગામમાં થતા નાના-મોટા પ્રસંગમાં શ્વાન માટે મિષ્ઠાન અને તેમને ખોરાક આપવામાં આવે છે .
દરરોજ એક એક ઘરેથી 10 કિલો લોટના બાજરાના રોટલા શ્વાન-વાનરો માટે બનાવવામાં આવે છે
હાલ શ્વાનનેને ખોરાક બનાવવા માટેના તમામ મોટા વાસણો પણ ગામ લોકોએ ભેગા થઈને ખરીદી રાખ્યા છે. કુશ્કલ ગામના લોકોમાં પહેલેથી જ શ્વાન પ્રત્યે દયા ભાવના જોવા મળી રહી છે. અહીંના લોકો ફક્ત જમીનમાંથી જે ઉપજ મળે અને તેમાં માટે જમવાનું આપે એવું નથી પણ અહીં જે 600 જેટલા મકાનો છે તે મકાનોમાંથી તમામને એક એક દિવસના 5થી 10 કિલો લોટના બાજરાના રોટલાઓ શ્વાન વાંદરાઓ માટે બનાવવામાં આવે છે. રોજે રોજ એક એક ઘર આખું વર્ષ આવીરત આવી જ રીતે તમામ ઘરના લોકો શ્વાનને ખાવાનું આપે છે. એટલે અહીં જોઈ શકાય છે કે શ્વાન પ્રત્યેની લાગણી આ ગામમાં કેટલી છે.
ગામલોકોએ શ્વાન માટે કરી સુંદર વ્યવસ્થા
અહીં ગામના લોકોનું કહેવું છે કે આપણે જોઈએ છીએ કે જ્યારે રખડાવ શ્વાન ક્યાંક ફરતા હોય છે, ત્યારે લોકો તેમને મારતા હોય છે, તેમને ત્યાંથી કાઢી મૂકતા હોય છે. આવા રખડાવ શ્વાન ખાધા-પીધા વગર ફરતા હોય છે. ત્યારે આ ગામના લોકોએ આ શ્વાન માટે સુંદર એવી વ્યવસ્થા કરી છે. જેના થકી આ શ્વાન પણ કહી શકાય છે કે કરોડપતિ શ્વાનમાં ગણતરી થઈ રહી છે. ગામ લોકોએ ગામ વચ્ચોવચ શ્વાનને ખાવા આપવા માટે લોખંડનું પાંજરું જેવું બનાવ્યું છે અને તેમની ફરતે જાળી બાંધવામાં આવી છે જેથી જ્યારે પણ અહીંના શ્વાનને ઈચ્છા હોય ત્યારે તેઓ જાળીની અંદરથી પોતાનો ખોરાક મેળવી શકે છે.
શ્વાન માટે રોટલા જ નહીં લાડુ અને મીઠાઇ જેવી વાનગીઓ પીરસાઈ છે
ગામ લોકોનું કહેવું છે કે આ પરંપરા અમારા બાપદાદાઓ હતી ચાલી આવી છે. ગામમાં કોઈ તહેવાર હોય ત્યારે તમામ ધર્મના લોકો સાથે મળીને શ્વાન માટે શીરો બનાવીએ છીએ. ખીચડી બનાવીએ છીએ. લાડુ, મીઠાઈ જેવી વાનગીઓ બનાવીને ગામના શ્વાનને ખવડાવતા હોઈએ છીએ. આમ કહી શકાય છે કે આ શ્વાનના નામે પણ આજે 20 વીઘા જેટલી જમીન કરોડોના ભાવની છે એટલે અહીંના શ્વાન પણ કરોડપતિ શ્વાનની ગણતરીમાં આવ્યા છે.