મહારાષ્ટ્રના નાગપૂરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પાંચમી સપ્ટેમ્બરથી ત્રણ દિવસીય બેઠક. મોદી સરકાર-ભાજપાના કાર્યોની થશે સમિક્ષા
મોહન ભાગવત,દતાત્રેય હોંસબોલે રહેશે ઉપસ્થિત
નાગપૂરમાં યોજાશે સમન્વય બેઠક
ભવિષ્યનો તૈયાર કરાશે રોડ-મેપ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( RSS) ગુરુવારથી મહારાષ્ટ્રના નાગપૂરમાં ત્રણ દિવસીય 'સમન્વય બેઠક'નું આયોજન કરી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટી સહીત સંઘ સાથે જોડાયેલા અન્ય સંગઠન પણ સામેલ થશે. આ મહત્વની બેઠકમાં કેન્દ્રની મોદી સરકારની કામગીરીના લેખા-જોખાં થશે.
સંગઠન -સંકલનના હોદ્દેદારો ઉપસ્થિત
દેશના પાંચ રાજ્યોમાં 2022માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે.તે પહેલા મળનારી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો તો લેવાશે જ પરંતુ ભવિષ્યમાં કરવાની થતી કામગીરીનો રોડ-મેપ પણ તૈયાર કરવામાં આવશે. આ 'સમન્વય બેઠક'માં સંઘ પ્રમુખ મોહન ભાગવત, સંઘના સર કાર્યવાહક દતાત્રેય હોસબોલે,ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) બી એલ સંતોષ,સંઘ અને ભાજપા વચ્ચે સમન્વય-સંકલન સંભાળતા અરુણકુમાર સહીત તમામ સંગઠનના પ્રમુખ,સંગઠન મંત્રી અને સંઘના પ્રાદેશિક પ્રચારકો પણ સામેલ થશે.
બેઠકનો મુખ્ય શો એજન્ડા ?
નાગપૂરમાં મળનારી આ સમન્વય બેઠકની સૌથી મહત્વની વાત એ રહેશે કે,સંઘ સાથે જોડાયેલા સંગઠનો એ ગત બેઠકમાં જે બાબતો પર સહમત થયા હતા તે કાર્યોની સમિક્ષા કરવામાં આવશે.સાથોસાથ આગામી દિવસોમાં આયોજિત થનારા કાર્યક્રમોની પણ રૂપરેખા તૈયાર કરાશે. આ બેઠકમાં મુખ્યરૂપે મોદી સરકાર-ભાજપના કામકાજની સમિક્ષા થશે.વધુમાં,પાંચ રાજ્યોની ચૂંટણીને લઈને પણ ચર્ચા હાથ ધરાય તેવી પૂરી શક્યતા છે.
આગામી સમયનું પણ પ્લાનિંગ
સામાન્ય રીતે સંઘની બેઠક વર્ષમાં કેટલીય વાર થતી હોય છે. જેમાં વર્તમાનમાં થી રહેલા કામ અને ભવિષ્યમાં કરવામાં આવનારા કાર્યોને લઈને રૂપરેખા તૈયાર થતી હોય છે. આ બેઠકમાં,પહેલાની જેમ જ શાખાઓ પૂર્વવત કરવા ઉપરાંત કોરોનાની સંભવત;ત્રીજી લહેર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા-વિચાર થશે.