ભ્રષ્ટાચારને રોકવા માટે મંત્રીઓએ ખુદ મેદાને ઉતરવું પડે તો સિસ્ટમ સામે સવાલ ચોક્કસ ઉભા થાય છે. આજ રોજ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજીને મોટો ધડાકો કર્યો છે.
વડોદરા મુંબઇ એક્સપ્રેસ-વે માટે સંપાદન જમીન પર આચરી ગેરરીતિ
વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છુંઃ રાજેન્દ્ર ત્રિવેદી
મહેસુલ મંત્રી દરોડા પાડીને કેટલાક ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભ્રષ્ટાચારનો તેમણે પર્દાફાશ કર્યો છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, મહેસુલ ખાતાના અધિકારી જમીન સંપાદન ભ્રષ્ટાચાર કર્યો છે. 12 કરોડનો વહીવટ કર્યો છે, બનાવતી ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો છે. આમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા છે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન જમીન પર ગેરરીતિ આચરી છે.
ત્રિવેદીએ કહ્યું કે, બનાવટી પાવર એર્ટની બનાવી 12 લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હતા. જેમાં એ.એ. શેખ નામનો વકીલ પણ આરોપી છે. વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. બજેટમાં SIT મહેસુલ માટે જોગવાઈ કરશે. મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે SIT મહેસુલ બનાવશે. ગંભીર ફરિયાદો કમિટી પાસે જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અમદાવાદના આંબાવાડી સ્થિત સ્ટેમ્પ ડ્યુટીની ઓફિસમાં દરોડા પાડીને અધિકારીઓના વહીવટદારોના વહીવટનો પર્દાફાશ કર્યો હતો. સાથેજ અધિકારીઓના ક્લાસ પણ લઈ લીધા હતા. આ પહેલીવાર બન્યુ છે એવું નથી. આ અગાઉ પણ મંત્રી મુકેશ પટેલ, મંત્રી પુર્ણેશ મોદી અને અન્ય મંત્રીઓએ પણ અધિકારીઓને ફરજ અને નિષ્ઠાનું ભાન કરાવ્યુ છે.
તો બીજી બાજુ કેટલાક સવાલો પણ છે કે શું ભ્રષ્ટાચાર નાબુદ કરવા મંત્રીઓએ જ દોડવું પડશે? શું મંત્રીઓની સતર્કતાને કારણે ભ્રષ્ટાચાર રોકી શકાશે? વિવિધ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને દૂર કરવાનો ઉપાય શું છે? કચેરીઓમાં વહીવટદારોના વહીવટ પર લગામ કેવી રીતે લાગશે?