જમીન રિ-સર્વે વાંધાના નિકાલ માટે સમય 1 વર્ષ લંબાવાયો, હવે ડિસેમ્બર 2022 સુધી થશે રિ-સર્વે
જમીન રિ-સર્વે અંગે રાજ્ય સરકારનો નિર્ણય
રિ-સર્વેની સમય મર્યાદા લંબાવાઇ
વધુ એક વર્ષ સુધી કરાશે રિ-સર્વે
રાજ્યમાં જમીન રી-સર્વેને કામગીરીને લઈ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી. જેમાં મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી જમીન રી-સર્વેની કામીગીરીમાં ક્ષતિઓ બાબતે ચર્ચા થઈ હતી. જે બાદ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે કે અત્યાર સુધી 4 લાખ 13 હજાર વાધા અરજીનો નિકાલ થઈ ચૂક્યો છે અને હવે વધુ એક વર્ષ સુધી જમીન રી સર્વેની કામગીરી કરવામાં આવશે જેમાં પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિકના ધોરણે નિકાલ કરવામાં આવશે.
મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની જમીન રિસર્વેને લઈ મોટી જાહેરાત
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જમીન રિસર્વેમાં ગુજરાત સરકારની કામગીરી પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે ખેડૂતોની જમીનના સર્વે બાબતે અનેક વાર પ્રશ્ન ઉભો થયા છે, પણ સર્વે અને રી સર્વે બાબતે ચિંતા કરવાની જરૂર નથી. 1886 માં સર્વેની શરૂઆત થઈ, 1920 માં પૂર્ણ કરવામાં આવી ત્યાર બાદ કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થયા જેથી ગુજરાત એક માત્ર રાજ્ય છે ફિલ્ડમાં જઈને આધુનિક સાધનોથી પોઇન્ટ ટુ પોઇન્ટ સર્વે કર્યો, ગામે ગામે જઈને ગ્રામસભા કરી હતી, 2016 થી રી સર્વેની મુદત ચાલુ છે જે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે એટલે કે રી સર્વેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવતા અનેક મુઝવતા પ્રશ્નોનો નિકાલ કરી શકાશે.
4 લાખ 13 હજાર અરજીમાં માપણી કરી
વધુમાં મહેસુલ મંત્રીએ જણાવ્યુ કે એક ગામમાં 100 અરજી હોય તો તે ક્લસ્ટર તરીકે ગણવામાં આવ્યું છે. 40 હજાર વાંધા અરજીમાંથી 38 હજાર અરજીની માપણી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં 38 ગામો ક્લસ્ટર તરીકે નોંધાયા હતા અને 38 ગામમાંથી 11884 અરજીની માપણી પૂર્ણ કરી દેવામાં આવી છે.રાજ્યમાં કુલ 95 લાખ સર્વે નંબર છે જેમાંથી માત્ર 5 લાખ 28 હજાર સર્વેના વાંધા આવ્યા હતા તેમાં પણ 10 જિલ્લામાં સૌથી વધુ અરજીઓ આવતા 4 લાખ 13 હજાર અરજીમાં માપણી કરાઇ ચૂકી છે. માપણી પ્રક્રિયા માટે ગુજરાતમાં 27 સ્ટોન નાખવામાં આવ્યા છે. અને જિલ્લાના મધ્ય ભાગમાં એક સ્ટોન રાખીને માપણી કરવામાં આવી રહી છે. અગાઉની સર્વે કરનાર કંપની સામે કાર્યવાહી કરી છે જેના ભાગ રૂપે કંપનીને બેદરકારી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે
કયા 10 જિલ્લામાં સૌથી વધુ અરજી આવી
બનાસકાંઠા
20000
મહેસાણા
19384
દ્વારકા
14947
જામનગર
13283
સુરેન્દ્રનગર
7173
સાબરકાંઠા
6721
અરવલ્લી
5661
વલસાડ
5249
નવસારી
4514
જૂનાગઢ
4024
કેમ એજન્સીઓના પાપે ખેડૂતો દંડાઈ રહ્યા છે?
જે ખેતરમાં ખેડૂત પોતાનો પાક ઉગાડે અને એજ ખેતર જો જમીનના સર્વેમાં કપાઈ જાય તો ખેડૂતને આંચકો ચોક્કસ લાગે.ગુજરાતભરના મોટાભાગના ખેડૂતોએ પોતાની જમીનના સેટેલાઈટ સર્વે સામે સવાલો ઉભા કર્યા છે, અને વિસંગતતા હોવાના દાવા કર્યા છે.ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે CMને પત્ર લખી ખેડૂતોની જમીન માપણીમાં વિસંગતતા હોવાના સવાલો ઉભા કર્યા હતા, સાથેજ અત્યારસુધી સરકારે લગભગ 70 લાખ ખેડૂતોની જમીન માપણી કરી જેમાં 1 લાખ 20 હજારથી વધુ વાંધા અરજીઓ સામે કોઈ નિકાલ ના થયાનો ઉલ્લેખ કર્યો.તો ખેડૂતોના મનમાં એ પણ સવાલ થઈ રહ્યા છે કે જમીન માપણીના વાંધાઓ ક્યારે દુર થશે?.કેમ એજન્સીઓના પાપે ખેડૂતો દંડાઈ રહ્યા છે?.આખરે વેરઝેર ઘોળતી જમીન માપણીની કાર્યવાહી ક્યારે સુધરશે?