નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સમાન્ય બજેટ 2020-21 રજૂ કર્યું હતું. બજેટમાં ઇન્કમ ટેક્સના સ્લેબને લઇને મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. જે મુજબ હવે પાંચથી સુધીની આવક ધરાવનારને ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે શિક્ષણ અને ખેડૂતો માટે મોટી જાહેરાત કરાઇ છે. ત્યારે આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નિવેદન આપ્યું હતું.
નિર્મલા સિતારમણે બજેટ 2020 લોકસભામાં રજૂ કર્યું
મહેસૂલ મંત્રીએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા
જીતુ વાઘાણીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટને લઇને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી. કૈશિક પટેલે જણાવ્યું હતું કે આ વખતના બજેટમાં ખેડૂતો અને શિક્ષણને ધ્યાનમાં રાખીને જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સમગ્ર ટીમને ગુજરાતવતી અભિનંદન પાઠવ્યા હતા.
મોદી સરકારનું બજેટ ઐતિહાસિકઃ જીતુ વાઘાણી
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મોદી સરકારના બજેટને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, નાણામંત્રી સિતારમણે ઐતિહાસિક બજેટ લોકસભામાં રજૂ કર્યું છે. આ બજેટ નવા ભારતના નિર્માણ કરનારું બની રહેશે. વૈશ્વિક મંદી વચ્ચે 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને આંબવા માટે આપણું અર્થતંત્ર સક્ષમ છે તે પ્રકારની પ્રતિતિ બજેટમાં રજૂ થઇ છે. નાણામંત્રીએ રજૂ કરેલું બજેટ આગામી સમયમાં અર્થતંત્રને નંબર 3માં લઇ જનારૂ બની રહેશે. તમામને ફાયદો થાય. સમાન્ય માણસ ખુશ થાય તેવું બજેટ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે કેન્દ્ર સરકારે બીડું ઝડપ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે શું જાહેરાત?
કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં વધારો થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં શિક્ષણ માટે 99 હજાર 300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા જિલ્લાઓની હોસ્પિટલોમાં મેડિકલ યુનિવર્સિટીનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ઓનલાઈન ડિગ્રીના કોર્સ લાવવામાં આવશે. સરકાર દ્વારા નવી શિક્ષા નીતિની ટૂંક સમયમાં જાહેરાત પણ કરાશે. સાથે જ ડિપ્લોમા માટે 150 નવા શિક્ષણ સંસ્થાન શરૂ કરાશે. દેશમાં ફોરેન્સિક અને પોલીસ યુનિવર્સિટી ખોલવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
બજેટમાં ખેડૂતો માટે શું?
નિર્મલા સીતારમણે જાહેરાત કરતા કહ્યું કે અન્નાદાતાને સરકાર ઉર્જાદાતા બનાવશે અને ખેતરોમાં સોલર એનર્જીથી સિંચાઈ કરાશે. આ ઉપરાંત પાણીની અછત વાળા 100 જિલ્લાઓ માટે યોજના શરૂ કરાશે. PM કુસુમ યોજના અંતર્ગત 20 લાખ ખેડૂતોને સોલર પંપ સેટ અપાશે. આ ઉપરાંત કેમિકલની જગ્યાએ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ વધુ થાય તેના પર ભાર અપાશે. તો સાથે જ કિસાન રેલ યોજનાની પણ શરૂઆત કરાશે. જેનો ઉપયોગ દૂધ, માંસ, માછલી માટે કરાશે. કિસાન રેલ યોજનાથી ખાદ્ય પદાર્થ ખરાબ નહીં થાય અને યોગ્ય સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાદ્ય પદાર્થ પહોંચી શકશે. આ ઉપરાંત કૃષિ ઉડાન યોજનાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરાઇ છે.
તો સાથે જ અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે. નાબાર્ડ અને મુદ્રાના સહયોગથી ધાન્યલક્ષ્મી યોજના લાગૂ કરાશે જેમાં મહિલાઓની ભૂમિકા વધશે. સાથે જ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા પણ સરકાર કટિબદ્ધ છે. 6.11 કરોડ ખેડૂતોની આવક વધારવા પ્રત્યે લક્ષ્ય કેન્દ્રિત કરાશે. કૃષિ ઉપજ, લોજિસ્ટિકમાં વધારે રોકાણ માટે 16 એક્શન પોઇન્ટ તૈયાર કરાયા છે. ઉપરાંત વન પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિક્ટની સ્કીમ બનાવાશે અને ઓનલાઇન માર્કેટ વધુ મજબૂત કરાશે. મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા 108 મિલિયન ટન કરવાનું લક્ષ્ય. અને ફિશ ઉત્પાદનનું લક્ષ્ય 208 મિલિટન ટન રખાયું છે. આ ઉપરાંત 3077 સાગર મિત્ર બનાવાશે. જેનાથી તટીય યુવાઓને રોજગાર મળશે. કુલ 16 સ્કીમ માટે 2.83 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. અને કુલ ફંડમાંથી કૃષિ, સિંચાઇ માટે 1.2 લાખ કરોડની ફાળવણી કરાશે.