મુખ્યમંત્રીએ જે કોવિડ કેર સેન્ટરની મુલાકત લીધી હતી તે કલોલના અરસોડિયા ગામે પહોંચ્યું Vtv, ગામના આઈસોલેશન સેન્ટરની તપાસ કરતા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા
'મારું ગામ કોરોના મુક્ત ગામ' નામના અભિયાનનું રિયાલિટી ચેક
CM રૂપાણીની હાજરીમાં આઈસોલેશન સેન્ટર ફુલ અને પછી ખાલીખમ
કલોલના અરસોડિયા ગામની CM રૂપાણીએ લીધી હતી મુલાકાત
'મારું ગામ કોરોના મુક્ત ગામ' નામનું અભિયાન તો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ અભિયાનમાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. કોરોનાનો ગુજરાતના ગામડાઓમાં રાફડો ફાટ્યો છે. અને આ રફડાને રોકવા સરકાર આઇસોલેશન સેન્ટર તેમજ કોવિડ કેર સેન્ટર બનાવી રહી છે. પરંતુ આ કોવિડ કેર સેન્ટરો માત્ર નામના થઈને રહી ગયા છે.
VTVએ આજે અનેક ગામોમાં મુલાકાત લીધી હતી. જેમાં કેટલાક ગામ આરોગ્ય મંત્રી નીતિન પટેલના જિલ્લાના હતા. તો કેટલાક ગામો ગાંધીનગર જિલ્લાના હતા. જેમાં કોરોના કેર સેન્ટરની શું પરિસ્થિતિ છે. આઇસોલેશન સેન્ટર ગામડાઓમાં બનાવવામાં આવ્યા છે. તેમની શું હાલત છે. તે બધી તપાસ કરી તો ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા હતા.
VTVએ થોળ ગામની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કોવિડ કેર સેન્ટરની મુલાકત લીધેલા કલોલના અરસોડિયા ગામે પહોંચ્યું. અહીં પણ ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા. મુખ્યમંત્રીએ 8 મેના દિવસે આ ગામની મુલાકાત લીધી હતી. તે સમયે 8થી 10 કોરોના પોઝિટીવ દર્દીઓ અહીં એડમિટ હતા. પરંતુ 13 મેના દિવસે ITIમાં શરૂ કરેલું કોવિડ કેર સેન્ટર ખાલી નજરે પડ્યું. અહીં 10 બેડનું કોવિડ કેર સેન્ટર તો ઉભું કરાયું છે. પણ અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો અહીં એડમિટ થતા નથી. તેવું અમને જાણવા મળ્યું. જો કે સરપંચનું કહેવું છે કે, ગામમાં કેસ ઘટ્યા છે અને લોકો કોવીડ કેર સેન્ટરના બદલે ઘરમાં આઇસોલેટ થવાનું પસંદ કરે છે.
VTVએ ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના કેટલાક ગામોની મુલાકાત લીધી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાના સેરીસા ગામે અમે પહોંચ્યા. અહીં પણ ધર્મશાળામાં બનેલો આઇસોલેશન સેન્ટર બંધ હાલતમાં જોવા મળ્યો. અહીં 10 બેડ પાથરી લોક મારી દેવામાં આવ્યું છે. આ બધા ગામના દુશ્યો જોઈ સવાલ એ થાય છે કે, શું સરકાર ખરેખર કોરોના મુક્ત ગામડા કરવા માંગે છે કે, માત્ર ફોટો સેશન પૂરતા બેડ મૂકી પોતાની જવાબદારી પુરી એવું માને છે.