દેશમાં ફરી વાર કોરોનાનો કેર શરુ થયો છે. દિલ્હી, હરિયાણા અને યુપીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોનાનો ફરી શરુ થયો કહેર
હરિયાણા અને યુપીમાં માસ્કનો નિયમ ફરજિયાત બનાવાયો
યુપીના 7 જિલ્લામાં માસ્કનો નિયમ ફરજિયાત
દેશમાં કોરોના પ્રતિબંધો પાછા આવી રહ્યાં છે
દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર વધવા લાગી છે. દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં કોરોના ઝડપથી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં બાળકો પણ હવે સંક્રમિત થઈ રહ્યા છે. ત્રીજી લહેર બંધ થયા બાદ જે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા તે હવે ફરીથી લાગૂ થવા લાગ્યા છે.
વાસ્તવમાં સૌથી વધુ કેસ દિલ્હી-એનસીઆરમાં સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 24 કલાકમાં કોરોનાના 1247 કેસ સામે આવ્યા છે. જેમાંથી 501 કેસ માત્ર દિલ્હીના છે. એટલે કે દિલ્હીમાં દર સેકન્ડે સંક્રમિત મળી આવ્યા છે.
યુપીના સાત જિલ્લામાં ફરજિયાત માસ્કનો નિયમ
રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા ઉત્તર પ્રદેશની યોગી સરકારે લખનઉ સહિત 7 જિલ્લામાં માસ્ક ફરજિયાત કરી દીધા છે. જે જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે તેમાં લખનઉ ઉપરાંત ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, બુલંદશહર અને બાગપતનો સમાવેશ થાય છે.કોરોનાના કેસ ઓછા થયા બાદ ઉત્તર પ્રદેશે 1 એપ્રિલથી જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક નાબૂદ કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સીએમ યોગીએ અધિકારીઓને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આદેશ આપ્યો છે.
બસ-રેલવે સ્ટેશન, એરપોર્ટ પર સામૂહિક ટેસ્ટિંગ
માસ્કની અનિવાર્યતાની સાથે સાથે હવે ફરીથી કોરોનાનું માસ ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. લખનઉમાં હવે દિલ્હી, એનસીઆર, નોઇડા, ગાઝિયાબાદ, હરિયાણા અને મહારાષ્ટ્રથી આવનારા મુસાફરોને એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર કોરોના માટે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને મેડિકલ યુનિવર્સિટીઓમાં પણ કોરોના ટેસ્ટ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. લખનઉમાં પોઝિટિવિટી રેટમાં વધારો થયા બાદ પ્રશાસને કોન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની સૂચના પણ આપી દીધી છે. આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રને શંકાસ્પદોની તપાસ માટે મેડિકલ ટીમો અને વાહનો પણ આપવામાં આવશે.
શું દિલ્હીમાં લોકડાઉન થશે?
રાજધાની દિલ્હીમાં કોરોનાના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. અહીં સંક્રમણ દર 8 ટકાની નજીક પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ચેપનો દર 5 ટકાથી વધુ "ચિંતાજનક" છે. દિલ્હીમાં ત્રણ દિવસથી સંક્રમણનો દર 5 ટકાથી ઉપર રહ્યો છે.દિલ્હી સરકારના પોતાના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અનુસાર, જો સતત બે દિવસ સુધી સંક્રમણ દર 5 ટકાથી વધુ રહેશે તો રેડ એલર્ટ લગાવવામાં આવશે. રેડ એલર્ટ એટલે સંપૂર્ણ લોકડાઉન. જો કે, આ વખતે સંપૂર્ણ લોકડાઉનની સંભાવના પણ ઓછી છે કારણ કે ચેપ વધી શકે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે.