INX મીડિયા કેસમાં પૂર્વ નાણા અને ગૃહમંત્રી પી.ચિદંબરમ હાલ જેલમાં બંધ છે અને CBI દ્વારા પૂર્વ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સેવાનિવૃત અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિરોધ દર્શાવ્યો છે.નોંધનીય છે કે 4 પૂર્વ અધિકારીઓ પર હાલમાં જ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ પત્ર લખનારાઓમાં દેશમાં ઉચ્ચ પદો પર રહેલા અધિકારીઓના પણ નામ છે.
ઈમાનદાર અને મહેનતી અધિકારીઓ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં હતાશ થશે તેવી આશંકા દર્શાવી
રાજકીય ફાયદો ઉઠાવવા માટે કાર્યવાહી કરતા હોવાનો મોદી સરકાર પર આરોપ
કુલ 71 રીટાયર્ડ બ્યુરોક્રેટ્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં અધિકારીઓએ કહ્યું છે કે આ પ્રકારે પૂર્વ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે તો ઈમાનદાર અને મહેનતુ અધિકારીઓ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં ખચકાશે.
પૂર્વમાં દેશના ઉચ્ચ પદો પર રહેલા અધિકારીઓએ લખ્યો
આ પત્ર પર પૂર્વ કેબીનેટ સચિવ કે.એમ.ચંદ્રશેખર, પૂર્વ વિદેશ સચિવ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન, પૂર્વ વિદેશ સચિવ સુજાતા સિંહ અને પંજાબના પૂર્વ પોલીસ મહાનિર્દેશક જૂલિયો રીબેરો અને અન્ય ઘણા અધિકારોઓએ સહી કરી છે. આ બધા અધિકરીઓનું કહેવું છે કે રાજકીય ફાયદો લેવા રીટાયર્ડ અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
ભવિષ્યમાં ગુનાહિત કાર્યવાહીના ડરથી અધિકારીઓ નહિ કરે કામ
પૂર્વ કેન્દ્ર સરકારો દ્વારા લેવાયેલા નિર્ણયોની ફાઈલ ફરીથી ખોલાવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો આમ જ કામ કરવામાં આવશે તો હવે સરકારી અધિકારીઓ મહત્વપૂર્ણ પ્રસ્તાવને સ્વીકાર કરશે નહિ અને કામ અટવાતું રહેશે. કારણ કે તેમનામાં ભય પેદા થઇ ગયો છે કે અમુક વર્ષો બાદ તેમના પર ગુનાહિત કાર્યવાહી થઈ શકે છે. વધુમાં પત્રમાં લખ્યું છે કે જૂની ફાઈલો ફરીથી ખોલવા માટે એક પ્રક્રિયા બનાવવાની જરૂર છે.
INX મીડિયા કેસમાં 4 પૂર્વ અધિકારીઓ પર કાર્યવાહી
INX મીડિયા કેસમાં મોદી સરકાર દ્વારા નીતિ આયોગના પૂર્વ સીઈઓ સિંધુશ્રી ખુલ્લર, એમએમએમઈ મંત્રાલયના પૂર્વ સચિવ કે.પુજારી, નાણા મંત્રાલયના પૂર્વ નિર્દેશક પ્રબોધ સક્સેના અને આર્થિક વિભાગના પૂર્વ અગ્ર સચિવ રવીન્દ્ર પ્રસાદ વિરુદ્ધ કેસ ચલાવવાના આદેશ આપવામાં આવ્યા છે.