શહેરના નોબલનગર વિસ્તારમાં મોડી રાત્રે અંગત અદાવતમાં રેસ્ટોરાંના માલિક અને વેપારી રાજુ દેસાઇની ઘાતકી હત્યા થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જૂની અદાવતમાં ફાઈનાન્સનો ધંધો કરતા બે ભાઇઓએ તેના મિત્ર સાથે મળીને રાજુની મોડી રાત્રે કરપીણ હત્યા કરી છે. જ્યારે રાજુને બચાવવા માટે આવેલા તેમના ભાઇ અને અન્ય એક યુવકને પણ છરીના ઘા વાગતા ગંભીર ઇજા પહોંચી છે.
બે ભાઈઓએ રાજુ દેસાઈને પકડી રાખ્યા
તેના સાગરીતે ઉપરાઉપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા
આશીષ રાજપૂતે અંગત અદાવતમાં હત્યા કરતાં ચકચાર
નોબલનગર વિસ્તારમાં આવેલી સુદામાપાર્ક સોસાયટીમાં રાજુ બાબુભાઇ દેસાઇ તેમના પરિવાર સાથે રહે છે અને મહાકાળી રેસ્ટોરાં અને ભારત ચા પત્તીનો ધંધો કરે છે. રાજુની ગઇ કાલે મોડી રાત્રે તેમની સોસાયટીમાં રહેતા સુકેત રાજપૂત અને તેના ભાઇ આશિષ રાજપૂતે કાવતરું ઘડીને હત્યા કરી નાખી છે. રાજુના પિતા બાબુભાઇ સુદામાપાર્ક સોસાયટીમાં ચેરમેન છે અને સરદારનગર અને નોબલનગરમાં સારું નામ ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ફાઈનાન્સનો ધંધો કરતા સુકેત અને આશિષ છેલ્લા ઘણા સમયથી રાજુની હત્યા કરવા માટેનો પ્લાન ઘડી રહ્યા હતા. બન્ને જણાને કોઇને કોઇ કારણોસર રાજુ સાથે અદાવત હતી જેના કારણે તેઓ ઘાટ ઘડીને બેઠા હતા. બન્ને ભાઇઓએ રીઢા ગુનેગાર મનોજ ઉર્ફે ટીકડી લાલવાણી રાજુની હત્યા કરવા માટે તૈયાર કર્યો હતો અને તેને ચિક્કાર દારૂ પીવડાવ્યો હતો.
મનોજ અને બે ભાઇઓ સુદામાપાર્ક સોસાયટીની બહાર રિક્ષામાં બેસીને દારૂ પીતા હતા ત્યારે રાજુ પાન પાર્લર પર મસાલો ખાવા માટે આવ્યા હતા. રાજુ બાઇક પાર્ક કરે તે પહેલાં સુકેત અને આશિષે તેમને પકડી રાખ્યા હતા જ્યારે મનોજે તેની પાસે રહેલુ ચપ્પુ કાઢીને ઉપરાછાપરી ઘા મારવા લાગ્યા હતા.
ચિક્કાર દારુ પીધેલી હાલતમાં મનોજે રાજુ પર અનેક વખત ચપ્પાના ઘા મારતાં તે જમીન પર ઢળી પડ્યા હતા. આ ઘટના જોઇ રહેલા રાજુના મોટાભાઇ ગેમરભાઇ દેસાઇ અને અન્ય એક યુવક તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે મનોજે ગેમરભાઇ અને યુવક ઉપર પણ ચપ્પુ હુલાવી દેતા તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા.
લોકોની બૂમાબૂમ થતાં ત્રણેય જણા નાસી ગયા હતા જ્યારે ઇજાગ્રસ્ત રાજુ તેમજ ગેમરભાઇ અને અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ રાજુને મૃત જાહેર કર્યા હતા. રાજુના મોતના સમાચાર વાયુવેગે સરદારનગર તેમજ કુબેરનગરમાં પહોંચી જતા હજારોની સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા જ્યારે સરદારનગર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે આ મામલે મનોજ, આશિષ અને સુકેત વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર રાજુ અને મનોજને કોઇ લેવા દેવા હતી નહીં પરંતુ સુકેત અને આશિષે ચિક્કાર દારૂ પીવડાવીને રાજુની હત્યા કરવા માટે તૈયાર કર્યો હતો. પોલીસે રાજુની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
આરોપીઓની ધરપકડ બાદ કયા કારણોસર રાજુની હત્યા થઇ છે તેની જાણ થશે. નવા વર્ષની શરૂઆતથી અમદાવાદમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. અમરાઇવાડીમાં હોમગાર્ડની હત્યા ત્યારે બોપલમાં પ્રેમ પ્રકરણમાં મયંકગીરી ગોસ્વામીની હત્યા થઇ આ સિવાય પણ નારોલ અને સિગરવા રોડ પર બે લોકોની હત્યા થઇ છે.