ગીર-સોમનાથ: ગુજરાતના વિકાસના મોડલની વાતો કરીને તત્કાલિન મુખ્યમંત્રી હાલ દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. ત્યારે ગુજરાત મોડલ માત્ર શહેરો પુરતું સિમિત હોય તેમ લાગી રહ્યું છે. સરકારની મોટી મોટી જાહેરાતો થાય છે કે ગુજરાતના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે.
પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. રાજ્ય સરકારે ગીરસોમનાથને જિલ્લો બનાવ્યો જેથી વહીવટની દ્રષ્ટીએ કામ પણ સરળ બને તો છેવાડાના ગામમાં પાયાની સુવિધા કેમ પહોંચી નથી ? ઊનાના ખજુદ્રા ગામના લોકોને કોઈ પ્રકારની સુવિધા ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગીર સોમનાથના ઉના તાલુકાનું ખજુદ્રા ગામ. આ ગામના લોકોની વ્યથા સાંભળીને યુપી-બિહારનું ગામ હોય તેમ લાગી રહ્યું છે. ખજુદ્રા ગામના લોકોની મુશ્કેલી બની છે શાહી નદી. નદીના સામે કાંઠે ખજુદ્રા ગામના 45 પરિવારો રહે છે. આ ગામના લોકોને ગામ બહાર જવું હોય તો આ નદીના જીવલેણ પ્રવાહમાંથી પસાર થઈને જવું પડે છે. આ સિવાય તેમની પાસે કોઈ ઉપાય નથી.
થોડા દિવસ પહેલા ઊનામાં ભારે વરસાદે અનેક ગામોને બેટમાં ફેરવ્યા હતા ત્યારે આ ગામના લોકો પણ સંપર્ક વિહોણા બન્યા હતા અને શાહી નદીમાં ભારે પૂર આવ્યું હતું તેના કારણે આ ગામનો ભૂપત નામનો યુવાન રોજની જેમ નદી પાર કરતા તેની સાથે અનેક ઈચ્છાઓ લઈને કાયમ માટે પાણીમાં સમી ગયો.
ઉલ્લેખનીય છે કે લોકો 11 દિવસ પાણીના પ્રવાહમાં ફસાયેલા રહ્યા પરંતુ તંત્રનો કોઈ અધિકારી કે ચૂંટાયેલો નેતા આ ગામને જોવા આવ્યો ન હતો અને હજુ સુધી આ લોકોને કોઈ જાતની મદદ મળી નથી. પાણી ઘરોમાં ઘૂસતા અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ હતી. ઉભો પાક બળી ગયો હતો પરંતું તેની ચિંતા તંત્ર કરે કેમ? વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરીને અભ્યાસ કરવા જાય છે. જેને કારણે હવે ગ્રામજનો રોષે ભરાયાં હતા.
ગામના લોકોની સમસ્યા છે કે ગામને જોડતો કોઝવે પુલ બનાવવામાં આવે. શું ગામના લોકોને સારું જીવન જીવવાનો હક નથી ? વરસાદ આવે છે ખુશી લાવે છે પણ પુલ વગર તકલીફ પડે છે. ઈમરજન્સી સેવા છે પણ લેવી કેવી રીતે ? રોડ રસ્તા નથી નથી કોઈ સગવડ આને કહેવાય વિકાસ..? વિદ્યાર્થીઓને ભણવું છે પણ નદી પાર કરતા લાગે છે ડર ભણશે ગુજરાત પણ નદી પાર કરાવશે કોણ..? આવા અનેક સવાલ ગામ લોકો ઉઠાવી રહ્યા છે. આને જવાબ આપશે કોણ અને સમસ્યા નિવારશે કોણ?
આમ સમગ્ર અહેવાલમાં માત્ર એક જ વાત છે કે ખજેદ્રા ગામના લોકોને પુલની જરૂર છે પરંતુ સરકાર પુલ બનાવવા તૈયાર નથી. જો સરકાર જાહેરાતોના કરોડો ખર્ચે તો વિદ્યાર્થીઓ અને ગામના લોકોના ભવિષ્ય માટે સરકાર પુલ કેમ બનાવી શકતી નથી?