અમદાવાદઃ કઠુઆ ઉન્નવ અને સુરતમાં થયેલ દુષ્કર્મની ઘટના બાદ સમગ્ર મહત્વનું છે કે સમગ્ર દેશમાં હવે ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આ ઘટનનાં વિરોધમાં કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલનાં ખોડિયાર મંદિરથી "બેટી બચાવો ગાર્ડન" સુધી 1.5 કીમી લાંબી કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.
એમાંય મહત્વની બાબત તો એ છે કે આ રેલીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાયાં હતાં. જેમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે મહિલાઓને હવે કરાટે ક્લાસમાં જવાની જરૂર છે. હવે દ્રૌપદીને જાતે જ પોતાની રક્ષા કરવી પડશે. કારણ કે બેટી બચાવોનો નારો દિવસે ને દિવસે નિષ્ફળ સાબિત થતો જાય છે અને 56ની છાતી પણ હવે ગાયબ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કઠુઆ જિલ્લાનાં રાસના ગામમાં આવેલ એક મંદિરનાં ગર્ભગૃહમાં એક આઠ વર્ષની બાળકીને ગોંધી રાખીને કેટલાંક નરાધમ લોકોએ તેની પર ગેંગરેપ આચર્યો હતો અને બાદમાં તેની ક્રૂર રીતે હત્યા પણ કરી નાખી હતી. મહત્વનું છે કે આ ઘટનાને લઇને હાલ સમગ્ર દેશભરમાં તેની વિરૂદ્ધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર થઇ રહ્યાં છે.
ગુજરાતનાં અમદાવાદમાં પણ ઠેર-ઠેર આ ઘટનાને લઇ ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. જેથી અમદાવાદનાં નિકોલમાં પણ ગઇ કાલનાં રવિવારનાં રોજ લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. જેમાં હાર્દિક પટેલની પણ ઉપસ્થિતિ હતી.