ગુજરાતમાં 15મી જૂન પછી ઘણા ઉચ્ચ અધિકારીના હોદ્દા બદલાઈ જશે, કેટલાક નિવૃત્ત થશે તો કેટલાને બઢતી અને બદલી નસીબ થશે. ગાંધીનગરમાં આ અંગેનો ધમધમાટ અત્યારથી જ શરૂ થઈ ગયો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. સૂત્રોનું માનીયે તો રૂપાણી સરકારના માનીતા અધિકારીઓની પણ બદલી પાક્કી છે.
જયંતિ રવિ અને જયપ્રકાશ શિવહરેની બદલી પાક્કી
ડેપ્યુટી સીએમની સત્તામાં મુકાઈ શકે છે કાપ
15મી જૂને ફાઈનલ લિસ્ટ થઈ જશે રેડી
સૂત્રો અનુસાર માહિતી મળી રહી છે કે આગામી જુલાઈ મહિનામાં ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર આવશે. રાજ્યમાં આગામી સમયમાં એડમિનિસ્ટ્રેટિવ લેવલે કેટલાક સચિવો નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગરના વર્તુળોમાં નવી હાલ આ અંગેની ચર્ચાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
આ અધિકારીઓ થશે નિવૃત્ત
સેવા નિવૃત જે સચિવ થવાના છે તેમાં એગ્રિકલ્ચર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પી કે પરમાર અને મ્યુ. કમિશનર એમ. એસ. પટેલના નામ છે. જેનાથી આ મહત્વની જગ્યાઓ ખાલી પડશે એટલે ત્યાં નવા સચિવની નિમણૂંક કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય મહત્વની જગ્યાઓ ખાલી થવાની છે અથવા તો વધારાના ચાર્જ પર કાર્યરત છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે તેમાં પણ નવી નિમણૂક કરવામાં આવી શકે છે.
15મી જૂને ફાઈનલ લિસ્ટ થઈ જશે રેડી
અંદરના સૂત્રોનું માનીએ તો સરકારી કચેરીમાં આ મુદ્દે ફેરફાર કરવા માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જૂન 15 પહેલાં ઉચ્ચ અધિકારીઓના ટેબલ પર ફાઈનલ લિસ્ટ મૂકી દેવામાં આવશે. 15મી જૂન સુધી, બઢતી, બદલી અને નિવૃત્તિનું લિસ્ટ ગુજરાત સરકાર દ્વારા હાઈકમાન્ડને મોકલી આપવામાં આવશે. આ અંગેની તૈયારીઓ અત્યારથી જ ચાલુ કરી દેવાઈ છે.
જયંતિ રવિ અને જયપ્રકાશ શિવહરેની બદલી પાક્કી
સૂત્રો પ્રમાણે સિનિયર અને જુનિયર અધિકારીઓના આ લિસ્ટમાં મહત્વના નામની વાત કરીએ તો અગ્ર આરોગ્ય સચિવ જંયતિ રવિનું નામ ચર્ચાઈ રહ્યુ છે. જેમની કામગીરી કોરોના સંકટમાં સરકારની અપેક્ષાએ ખરું ઉતર્યુ નથી. ગાંધીનગરમાં તો ત્યાં સુધી ચર્ચા થઈ રહી છે કે જ્યંતિ રવિના CM રૂપાણીના નજીકના અધિકારી હોવા છતાં પણ આ વખતે તેમનું પત્તુ કપાય તેવી ચોક્કસપણે શક્યતા લાગી રહી છે. બીજી બાજુ આરોગ્ય ખાતામાં મહત્વના બદલાવમાં હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેનું પણ નામ લિસ્ટમાં શામેલ છે તેમ કહેવાય છે.
ડેપ્યુટી સીએમની સત્તામાં મુકાઈ શકે છે કાપ
એટલું જ નહીં પરંતુ એવી પણ ચર્ચા છે કે, ડે.સીએમ અને આરોગ્ય મંત્રી નીતિન પટેલની પણ આરોગ્ય ખાતામાં સત્તાકાપ મૂકાય તેવી શક્યતા છે. કારણ કે કહેવાય છે કે તેમણે સંપૂર્ણપણે તમામ સત્તા અને નિર્ણયો પોતાના હાથમાં જ રાખ્યા છે જેથી આગામી સમયમાં યોગ્ય કામગીરી થાય તે માટે આ મુદ્દે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.