ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રસેના ધારાસભ્યોને આમંત્રણ આપ્યુ છે. ત્યારે ભાજપ નેતા રેશમા પટેલે સરકાર વિરૂદ્ધ પ્રતિક્રિયા આપતા જણાવ્ય છે કે ભાજપના પણ 5થી7 જેટલા ધારાસભ્યો નારાજ છે. ભાજપના નારાજ ધારાસભ્યો પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ત્યારબાદ તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે બીજા પક્ષની ચિંતા ન કરવી જોઈએ. સત્તાધારી પક્ષને લોકોની સેવા કરવામાં વધુ રસ હોવો જોઈએ. જોકે સરકાર દ્વારા લોકોની સેવા કરવામાં આવતી નથી. પરંતુ વિપક્ષ પર પ્રહાર કરવામાં આવે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા માત્ર મોટા મોટા નિવેદન આપવામાં આવે છે. સાથે જ વિપક્ષ પર માત્ર પ્રહાર જ કરવામાં આવે છે અને ભાજપ દ્વારા માત્ર વોટબેંકની રાજનીતિ કરવામાં આવે છે. ભાજપ દ્વારા અન્ય પક્ષના નેતાઓ પર પહેલા પ્રહારો કરવામાં આવે છે અને તે નેતાઓ ભાજપમાં જોડાય છે તો તેમના વખાણ કરવામાં આવે છે. રેશમા પટેલે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું કે ભાજપના દિગ્ગજો નેતાઓને માત્ર વોટબેંક જ સમજે છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસમાં હાલમાં આંતરિક કલહ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે ભાજપના નેતા અને ડે.સીએમ નીતિન પટેલે આગમાં ઘી હોમતું નિવેદન આપ્યું છે. જેના પગલે કોંગ્રેસની ચિંતામાં વધારો થાય તેવી શક્યતાં છે. નીતિન પટેલે કોંગ્રેસના કકળાટને લઈને પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી નજીક આવશે તેમ કોંગ્રેસમાં જૂથવાદ વકરશે. કોંગ્રેસ પક્ષ પ્રમાણે નહીં પરતું જૂથ પ્રમાણે ચાલે છે. હાવી થવા માટે કોંગ્રેસમાં એક જૂથ બીજા જૂથને દબાવે તે યોગ્ય નથી.
આટલું જ નહીં પરંતુ નીતિન પટેલે મોટું નિવેદન આપતાં એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં કોંગ્રેસનું વિભાજન થશે. કોંગ્રેસના કેટલાંય નારાજ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે. થોડાં સમય પહેલાં જ એક નેતાને ત્યાં બેઠક મળી હતી. નીતિન પટેલે કહ્યું કે ચૂંટણી પહેલાં કોંગ્રેસના નારાજ નેતાઓ મોટા પ્રમાણમાં ભાજપમાં જોડાઈ શકે છે. થોડાં સમય પહેલાં એક નેતાને ત્યાં બેઠક મળી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો ભાજપમાં જોડાશે. આવામાં કહી શકાય કે લોકસભાની ચૂંટણી આવતા ભાજપ કોંગ્રેસની અમુક વિકેટો પાડવાની તૈયારીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ પેટાચૂંટણી બાદ કોંગ્રેસમાં આંતરિક કલહ વધી ગયો છે અને હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નારાજ સીનિયર નેતાઓએ પણ એક મીટિંગ કરીને હાઈકમાન્ડ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નારાજ દિગ્ગજ નેતાઓમાં પહેલેથી જ અલ્પેશ ઠાકોરનું નામ પણ શામેલ છે ત્યારે આજે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું પણ નામ ઉમેરાયું છે. આવામાં ભાજપ તરફથી આવેલા આ મહત્વના નિવેદનના પગલે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની ઊંઘ હરામ થઈ જશે તે ચોક્કસ છે.