પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા
ચૂંટણી પહેલા NCP નેતા રેશમા પટેલ આપમાં જોડાયા
પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા રેશમા પટેલ
પહેલા ભાજપ પછી NCP અને હવે આમ આદમી પાર્ટીમાં રેશમા પટેલની એન્ટ્રી
ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ ગયા બાદ પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના નેતા રેશમા પટેલ પાર્ટીને અલવિદા કહી આપમાં જોડાયાં છે. પાટીદાર અનામત આંદોલનનો મહિલા ચહેરો અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશની મહિલા પાંખનાં પ્રમુખ રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. તાજેતરમાં જ આપના રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ રેશમાને આપની ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં વિધિવત્ સામેલ કર્યાં હતાં.
આમ આદમી પાર્ટીમાં જોડાતી વખતે રેશમા પટેલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સામાન્ય માણસની વેદના સમજે છે અને એટલે તેઓ આપમાં જોડાઈ રહ્યાં છે. આ તરફ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, રેશમા પટેલ એક મજબૂત નેતાનું નામ છે અને પક્ષમાં જોડાવાથી સગ્રમ ગુજરાતમાં આપ મજબૂત થશે. નોંધનીય છે કે, રેશમા પટેલ એક સમયે ભાજપમાં જોડાયાં હતાં અને બાદ પાર્ટી છોડી દીધી હતી.
કોણ છે રેશમા પટેલ ?
રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામનાં વતની છે. આ ગામ માણાવદર વિધાનસભામાં આવે છે. તેમનો જન્મ મોસાળમાં ઉપલેટાની બાજુના વાળાસારા ગામમાં થયો હતો. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. રેશમાનાં માતાપિતા બંને સરકારી સ્કૂલમાં શિક્ષક હતાં. રેશમાએ જીવનસંઘર્ષમાં ટકી રહેવા જૂનાગઢ અને અમદાવાદમાં નાની-મોટી નોકરીઓ કરી હતી. આ સિવાય એક તબક્કે મૉડલિંગ પણ કર્યું હતું. રેશમા પટેલ વર્તમાન સરકાર પર વિવિધ આરોપો કરવાને લઈને પણ ચર્ચામાં રહ્યાં છે.
મહત્વનું છે કે, 2015 દરમિયાન પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું ત્યારે રેશમા પટેલ પબ્લિક મિટિંગમાં પણ જતાં હતાં. હાર્દિક પટેલને જેલ થઈ એ પછી પાટીદાર અનામત આંદોલન ઠંડું પડી ગયું હતું. જાન્યુઆરી 2016 દરમિયાન ગાંધીઆશ્રમ ખાતે રેશમા પટેલે હાર્દિક પટેલની મુક્તિ માટે ઉપવાસ કર્યા હતા. 21 દિવસ તેમણે ઉપવાસ કર્યા અને તેમની હાલત કથળવા લાગી હતી. એ વખતે જેરામ પટેલે મધ્યસ્થી કરી અને રેશમા પટેલને પારણાં કરાવ્યાં હતાં.
પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યાં રેશમા પટેલ
નોંધનીય છે કે, રેશમા પટેલ ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યાં હતાં. બાદમાં માણાવદરની વિધાનસભા અને પોરબંદરની લોકસભા બેઠક પરથી ઉમેદવારી બાદ ફરી ચર્ચામાં આવ્યાં હતાં. 2019ના માર્ચ મહિનામાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને રેશમા પટેલે ભાજપ સાથે વિધિવત્ રીતે છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી હતી. જે બાદમાં 16 નવેમ્બર, 2022માં તેઓ એનપીસી છોડીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે.
રેશમા પટેલે અગાઉ હાર્દિક પટેલને લઈ શું કહ્યું હતું ?
31 દિવસ સાબરમતી જેલમાં હતા રેશમા પટેલ
રેશમા પટેલ આંદોલન દરમિયાન 31 દિવસ માટે અમદાવાદની સાબરમતી જેલમાં પણ જઈ આવ્યાં હતાં. આંદોલન સમયના તેમના સાથી હાર્દિક પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે રેશમાએ તેમને કેટલીક સલાહ પણ આપી હતી. તેમણે અગાઉ લખેલા પત્રમાં પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. અગાઉ રેશમા પટેલે હાર્દિકને સલાહ આપતો એક પત્ર પણ લખ્યો હતો, જે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.