ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખનો રાફડો ફાટે તેવી શક્યતા દેખાઇ રહી છે. 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક બાદ પણ કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં 7 કાર્યકારી પ્રમુખ નિમાયા, છતાં નારાજગી!
નારાજ લોકોને સાચવવા કોંગ્રેસમાં વધુ કાર્યકારી પ્રમુખ નિમાશે
પાટીદાર, બ્રહ્મસમાજ, વણિક સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વાર 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાઇ છે. તેમ છતાં ગુજરાત કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.
7 કાર્યકારી પ્રમુખ નિમાયા બાદ પણ કોંગ્રેસમાં નારાજગી
ગુજરાત કોંગ્રેસમાં 7 કાર્યકારી પ્રમુખ નિમાયા બાદ પણ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આથી, નારાજ લોકોને સાચવવા ગુજરાત કોંગ્રેસમાં હજુ વધારે કાર્યકારી પ્રમુખ નિમાશે. હજુ 3થી 4 કાર્યકારી પ્રમુખની પક્ષમાં નિમણૂંક થઈ શકે છે. જેમાં પાટીદાર, બ્રહ્મસમાજ અને વણિક સમાજને પ્રતિનિધિત્વ મળી શકે છે.
આગામી અઠવાડિયામાં જ વધુ 3થી 4 કાર્યકારી પ્રમુખની થઇ શકે છે નિમણૂંક
આગામી અઠવાડિયાની અંદર જ વધુ 3થી 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક થઇ શકે છે. તમને જણાવી દઇએ કે, અગાઉ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના 7 કાર્યકારી પ્રમુખમાં MLA જીગ્નેશ મેવાણી, લલિત કગથરા, અંબરીશ ડેર સહિત પાંચ ધારાસભ્યોને કાર્યકારી પ્રમુખનું પદ મળ્યું છે. જ્યારે કોંગી નેતા ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને કાદીર પીરજાદાને પણ કાર્યકારી પ્રમુખનું પદ અપાયું છે. છતાંય ગુજરાત કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આથી ગુજરાત કોંગ્રેસમાં એકવાર ફરી તમામ સમુદાયને સાચવવા કાર્યકારી પ્રમુખની સંખ્યામાં વધારો કરાય તેવી શક્યતા.
ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં 7 કાર્યકારી પ્રમુખની કરાઇ છે નિમણૂંક
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાંય આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળવાનો છે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે. જેના ભાગ રૂપે સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અને પૂર્વમાં ગુજરાતના પ્રભારી રહી ચૂકેલા અશોક ગેહલોતની ગુજરાતમાં સીનિયર ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરી છે. જ્યારે ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવડાને ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખતા કોંગ્રેસે ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં 7 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરી છે.
જો કે, તેમ છતાં કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત જોવા મળતા નારાજ લોકોને સાચવવા કોંગ્રેસમાં વધુ 3થી 4 કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરાશે. જેમાં પાટીદાર, બ્રહ્મસમાજ અને વણિક સમાજને પ્રતિનિધિત્વ મળી શકે છે.