ગુજરાત કોંગ્રેસમાં પૂર્વ ધારાસભ્યો અને વર્તમાન ધારાસભ્ય આજે ખોડલધામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમે પાર્ટી હાઈ કમાન્ડની સાથે મુલાકાત કરીશું. જ્યાં પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકાય એ અંગેની ચર્ચાઓ પણ કરીશું.
કોંગ્રેસમાં આંતરીક વિવાદ આવ્યો સામે
ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓમાં નારાજગી
પક્ષમાં થતી અવગણનાને કારણે નેતાઓ છે નારાજ
ગુજરાતમાં અનેક વર્ષોથી સત્તાથી દૂર કોંગ્રેસમાં ફરી આંતરિક વિરોધ સપાટી પર આવ્યો છે. અમુક પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય હાઇકમાન્ડ અને સંગઠનની કામગીરીથી નારાજગીનો સુર વ્યક્ત કરી રહ્યાં છે. આ વચ્ચે આજે કોંગ્રેસ નેતાઓ ખોડલધામ ખાતે પહોંચ્યા હતા.
કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસઃ લલિત વસોયા
ખોડલધામ ખાતે યોજાયેલા વડીલ વદનાં કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ MLA લલિત કગથરા અને લલિત વસોયા પણ હાજર રહ્યા હતા. આ તકે લલિત વસોયાએ જણાવ્યું હતું કે, ચાલુ ધારાસભ્યો કે પૂર્વ ધારાસભ્યો પાર્ટીથી નારાજ નથી. પરંતુ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાર્ટીમાં શિસ્ત રહે, તાત્કાલિક નિર્ણય થાય અને આવનારા દિવસોમાં પાર્ટીનું સંગઠન મજબૂત થાય એના પ્રયત્નના ભાગરૂપે અમારો આ પ્રયાસ છે. આગામી દિવસોમાં અમે પાર્ટી હાઈ કમાન્ડની સાથે પણ મુલાકાત કરીશું. જ્યાં પાર્ટીને કઈ રીતે મજબૂત કરી શકાય એ અંગેની ચર્ચાઓ પણ કરીશું.
અમે પાર્ટીને મજબૂત કરવા માટે નીકળા છીએઃ લલિત વસોયા
તેમણે જણાવ્યું હતું કે, એક-બે દિવસમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સમય નક્કી થશે એની જાણ મીડિયાને પણ કરવામાં આવશે. અમે જે કંઈ વાત કરીશું એ ડંકાની ચોટ પર કરીશું. અમે પાર્ટીને મજબૂત કરવા માટે નીકળા છીએ. પાર્ટી સામે બળવાની કોઈ વાત નથી. આજે પણ નથી અને આવતા દિવસોની અંદર પણ નથી.
પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ VTV ન્યૂઝ સાથે કરી હતી વાતચીત
આ પહેલા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં પણ આ વાત જ કરી હતી. VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં કોંગ્રેસના ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્યએ કહ્યું કે, કોઇ નારાજગી તો નથી પણ પાર્ટીના કાર્યકરોની વાત હાઇકમાન્ડ સુધી પહોચાડવાનો પ્રયાસ છે. સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓ ભેગા મળીને હાઇકમાન્ડને રુબરુ વાત કરશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આમ પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આગામી ચૂંટણીમા પાર્ટીએ કડકાઇ રીતે પ્રયાસો કરવા જોઇએ. જોકે, લલિત વસોયાએ માત્ર મૌન તોડ્યું હતું, ખુલીને વાત કરવામાં થોડો ખચકાટ અનુભવ્યો હતો અને સમય આવશે ત્યારે જણાવીશું તેમ કહ્યું હતું. તેમની વાત પરથી જાણવા મળ્યું હતું કે, સંગઠન મજબૂત નથી, કાર્યકરોની વાત સંગઠન કે હાઇકમાન્ડ સુધી પહોચતી નથી કે કોઇ સાંભળતુ નથી અને ચૂંટણીને લઇ હવે કોંગ્રેસે ગંભીર થવાની જરુર છે.
શું કહ્યું હતું કોંગ્રેસના MLA કિરીટ પટેલે?
સમગ્ર મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, શાસક પક્ષ દ્વારા જે આક્ષેપ કરવા હોય તે કરી શકે. હાલનાં કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષથી ઘણી નારાજગી છે. પક્ષ દ્વારા ઝડપી કોઈ નિર્ણય લેવાતા નથી અમે ત્રણ ધારાસભ્યોએ પક્ષ વિરોધી કામ કરનાર સામે અમે લખીને આપ્યું છે. તો પણ તેઓની સામે પક્ષ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પક્ષ વિરોધી કાર્યવાહિ કરનાર સામે ઘણા લોકોએ લખીને આપ્યું છે તેમજ મૌખિક વાત પણ કરી છે. ત્યારે અમે લેખિતમાં જગદીશ ઠાકોરને આપ્યું છે અને અમિત ચાવડાને પણ લખીને આપ્યું છે. જો હજુ પણ તેઓની સામે પગલા લેવામાં નહી આવે તો અને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું. ત્યારે ધારાસભ્યોને હરાવવાની કામગીરી કરી છે તેમજ પક્ષ વિરોધી કામગીરી કરી છે તેઓની સામે પગલા નહીં લેવાય તો અમે અમારી રીતે નિર્ણય લઈશું. કિરીટ પટેલની જેમ અન્ય ધારાસભ્યોમાં પણ નારાજગી છે તેવું કિરીટ પટેલે જણાવ્યું હતું. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય તો નવાઈ નહી.
કોંગ્રેસમાં આંતરિક કલહ
મહત્વનું છે કે, કોંગ્રેસમાં ફરી આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફરી વિરોધનાં સંકેત જોવા મળી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પક્ષથી નારાજ હોવાનાં સૂર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનમાં વિલંબથી ઘણાં કોંગ્રેસના આગેવાનો નારાજ જોવા મળી રહ્યા છે. પક્ષથી નારાજગીને લઈને આગામી સમયમાં સિનિયર કાર્યકરો બળવો પણ કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.