સારું સ્વાસ્થ્ય એ વ્યક્તિનાં જીવનની સૌથી મોટી મૂડી છે. એવું પણ કહેવામાં આવે છે કે પહેલું સુખ એ જાતે નર્યા. આજના ભાગદોડભર્યા અને સ્પર્ધાત્મક જીવનમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું એક પડકારજનક કાર્ય છે. એવા ઘણા લોકો છે જે સ્વાસ્થ્ય પ્રત્યે યોગ્ય ધ્યાન ન આપવાના કારણે નાની ઉંમરે જ જાતજાતની બીમારીઓનો ભોગ બને છે. કેટલાક તો પોતાનો જીવ પણ ગુમાવે છે. સ્વસ્થ નાગરિકો કોઈપણ દેશના વિકાસ માટે અનિવાર્ય છે. આજે પ્રદૂષણ વધી રહ્યું છે, ખાદ્યચીજોમાં ભેળસેળ વધી છે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના અતિરેકથી ખોરાક અનાજ, ફળ, શાકભાજી આરોગ્ય માટે જોખમી બન્યા છે.
આવી પરિસ્થિતિમાં ખોરાકના સંતુલન અને પૌષ્ટિકતાનો પ્રશ્ન ઉદ્દભવે તે સ્વાભાવિક છે. નોંધપાત્ર વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળમાં મહત્વાકાંક્ષી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં આરોગ્ય જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવેલી આ યોજનાથી દેશવાસીઓ કેટલા ફીટ થશે તે તો સમય જણાવશે, પરંતુ તે પહેલાં તે જાણવું જરૂરી છે કે ફીટ ઈન્ડિયા જેવા આંદોલન જરૂર કેમ છે? આરોગ્યની દૃષ્ટિએ ભારતીયોની વર્તમાન સ્થિતિ શું છે?
એક સર્વે મુજબ ભારતીયો કામ કરવામાં અગ્રેસર છે પરંતુ ફિટનેસ અને એક્ટિવ રહેવાની બાબતમાં અનેક દેશોના લોકો કરતાં પાછળ છે. અન્ય એક અહેવાલ મુજબ, ભારતના લોકો સૌથી ઓછા સ્ફૂર્તિલા છે અને સરેરાશ ભારતીયો દરરોજ ફક્ત ૬,પપ૩ પગલાં ચાલે છે. જે આ અભ્યાસમાં સમાવિષ્ટ તમામ દેશોના લોકોની તુલનામાં સૌથી ઓછા છે. અમેરિકા, યુકે, જાપાન અને સિંગાપોર સહિત ૧૮ દેશોના લોકોના ડેટાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઊંઘવાની બાબતમાં ભારતીય ઘણા પાછળ છે. જાપાન પછી બીજા ક્રમે ભારતીય છે, જે સૌથી ઓછી ઊંઘ લે છે. ભારતીયો રાત્રે સરેરાશ સાત કલાક એક મિનિટ ઊંઘ લે છે.
આયર્લેન્ડમાં લોકો સરેરાશ સાત કલાક પ૭ મિનિટ એટલે કે લગભગ આઠ કલાક ઊંઘે છે. ૧૮ દેશોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે મળેલા તારણ મુજબ સરેરાશ ભારતીયો દિવસમાં ફક્ત ૩ર મિનિટ જ સ્ફૂર્તિલા રહે છે. એટલું જ નહીં, ભારતીયો હોંગકોંગના લોકો કરતાં ૩૬૦૦ પગલાં ઓછા ચાલે છે. ભારતમાં આરોગ્ય માટે હવે તો ઘણી જાગૃતિ આવી છે. એવા લાખો-કરોડો લોકો છે જે શિયાળામાં કે વખતો વખત કસરત કરવાનું નક્કી કરે છે. લોકો જિમમાં જવાનું શરૂ કરે છે, પરંતુ બહુ જ ઓછા લોકો નિયમિત તેનો અમલ કરી શકે છે.
એક અધ્યયન મુજબ સતત ચાલતી રહેતી મહિલાઓના શરીર પર ચરબી ઓછી હોય છે. તેની મહત્તમ અસર ૪૦થી ૬૦ વર્ષની ઉંમરે જોવા મળે છે. અમેરિકન સાયકોલોજિકલ એસોસીએશનના એક રિસર્ચ મુજબ સવારે ઊઠીને નિયમિત ચાલનારાનો મૂડ આખો સમય સારો રહે છે અને તેઓ તાજગી અનુભવે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરેરાશ ૧૮થી રપ વર્ષની વયના ભારતીય યુવાઓ રાત્રે ૧ર.૩૩ વાગ્યે સૂઈ જાય છે, જ્યારે તેનાથી મોટી ઉંમરના અને વૃદ્ધો તેના એક કલાક પહેલાં સૂવા જાય છે. ભાગદોડ ભર્યા જીવન અને બદલાયેલી જીવનશૈલીને કારણે આજે મોટાભાગના લોકો સ્લીપ એપનિયાથી એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.